રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડતાં રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના સમયગાળામાં અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 5.39 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Gujrat Rain Update: રાજ્યમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે ત્યારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ અમરેલી જિલ્લાના રાજુલામાં સૌથી વધુ 5.39 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
રાજુલા બાદ લીલીયામાં 2.13 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં 2.05 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભામાં 1.89 ઈંચ અને જાફરાબાદમાં 1.57 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી.
આ ઉપરાંત બગસરામાં 1.42 ઈંચ અને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાવરકુંડલા, ઉના, ગોંડલ, કુંકાવાવ-વડિયા અને કોડીનારમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
12 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદ
રાજુલા 5.39 ઈંચ
લીલીયા 2.13 ઈંચ
મહુવા 2.05 ઈંચ
ખાંભા 1.89 ઈંચ
જાફરાબાદ 1.57 ઈંચ
બગસરા 1.42 ઈંચ
ગીરગઢડા 1.06 ઈંચ
સા.કુંડલા 1.00 ઈંચ
ઉના 1.00 ઈંચ
ગોંડલ 1.00 ઈંચ
વડિયા 1.00 ઈંચ
કોડીનાર 1.00 ઈંચ
આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર
આજે ક્યાં જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ?
ગીર સોમનાથ
અમરેલી
ભાવનગર
સુરત
તાપી
ડાંગ
નવસારી
વલસાડ
આજે ક્યાં જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ?
જૂનાગઢ
રાજકોટ
ભરૂચ
વડોદરા
નર્મદા
છોટાઉદેપુર
આજે ક્યાં જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ?
પોરબંદર
બોટાદ
આણંદ
પંચમહાલ
દાહોદ
હવામાન વિભાગે 10 જુલાઇ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. વરસાદ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભારે વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે.






















