ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વનું વિશેષ મહત્વછે.

- દોઢ કરોડ મંત્રજાપ વ્યસનમુક્તિ માટે.
ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વનું વિશેષ મહત્વછે, જ્યાં હજારો ભક્તો વિવિધ આશ્રમો અને મંદિરોમાં ગુરુપૂજન કરીને આશીર્વાદ મેળવે છે. સંતોની ભૂમિ તરીકે ઓળખાતા સૌરાષ્ટ્રમાં અનેક મહાન સંતોએ પોતાની સાધના અને સેવાથી આગવું સ્થાન મેળવ્યું છે. તેવા જ એક અનોખા સંત છે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ, જેઓ વર્ષોથી કઠોર સાધના અને લોકસેવાના કારણે ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં લાલબાપુનું આગવું સ્થાન
સૌરાષ્ટ્રમાં બજરંગદાસ બાપા, જલારામ બાપા, સંત દેવીદાસ-અમરદેવીદાસ, આપા ગીગા અને કાશ્મીરી બાપુ જેવા અનેક સંતોએ આધ્યાત્મિક પરંપરાને સમૃદ્ધ બનાવી છે. આ જ પરંપરામાં ઉપલેટા નજીકના ગધેથડ ગામે આવેલું લાલબાપુનું ગાયત્રી આશ્રમ આજે પણ હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

21 કલાક સાધનામાં લીન રહે છે લાલબાપુ
નાનપણથી જ માતા ગાયત્રીની ઉપાસનામાં જોડાયેલા લાલબાપુ આજે પણ દિવસના 21 કલાક સાધનામાં પસાર કરે છે. સાધના દરમિયાન તેઓ કોઈને મળતા નથી. તેમની સાધના કુટીરમાં માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જ પ્રવેશની મંજૂરી છે. કુટીરની અંદર આવેલા ભોંયરામાં તેઓ કઠોર તપસ્યા કરે છે, જ્યાં કુદરતી પ્રકાશ પણ પહોંચતો નથી. તેઓ માત્ર રાત્રિના આશરે ત્રણ કલાક બહાર આવી ભક્તોને દર્શન આપે છે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને દેશી દવા દ્રારા લોકસેવા કરે છે.
ગાયત્રી મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી
વેણુ ડેમના કાંઠે આવેલા ગધેથડ ગામમાં લાલબાપુએ ગાયત્રી મંદિરના નિર્માણની શરૂઆત કરી હતી, જે વર્ષ 2014માં પૂર્ણ થયું હતું. મંદિરની સૌથી વિશેષ બાબત એ છે કે તેના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જ્યાં જરૂર પડી ત્યાં તાંબા અને ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું સમગ્ર નિર્માણ વૈદિક વિધિ-વિધાન અને શુભ મુહૂર્ત મુજબ કરવામાં આવ્યું છે.

આધુનિક સુવિધાઓથી દૂર, સાદગીભર્યું આશ્રમ જીવન
લાલબાપુનો આશ્રમ સાદગી અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આશ્રમમાં આધુનિક સુવિધાઓનો ઉપયોગ થતો નથી. લાલબાપુ તેમજ તેમના શિષ્યો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી. આશ્રમનું કોઈ ટ્રસ્ટ કે બેંક ખાતું નથી અને વાહન વ્યવહાર સહિત સુખ-સુવિધાઓથી પણ તેઓ દૂર રહે છે. વર્ષોથી આ પરંપરા અવિરત જાળવી રાખવામાં આવી છે.

52 વર્ષ એકાંતવાસમાં રહી કરી કઠોર સાધના
લાલબાપુ ગાયત્રી ઉપાસક તરીકે દેશ-વિદેશમાં પણ જાણીતા છે. 69 વર્ષની ઉંમર સુધીમાં તેઓ કુલ 52 વર્ષ એકાંતવાસમાં રહી સાધના કરી ચૂક્યા છે. તેમણે અત્યાર સુધી પાંચ વખત એકાંતવાસ કર્યો છે, જેમાં સૌથી ઓછો સમય 21 મહિના અને સૌથી લાંબો સમય 12 વર્ષનો રહ્યો હોવાનું કહેવાય છે.
યુવાનોને વ્યસનમુક્ત બનાવવા લાલબાપુનો અનોખો સંકલ્પ
પૂજ્ય લાલબાપુ હાલના સમયમાં યુવાનોમાં વધી રહેલા તમાકુ અને દારૂના વ્યસનને લઈને ખૂબ ચિંતિત છે. પોતાના પ્રવચનો દરમિયાન તેઓ સતત યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપે છે અને વ્યસન છોડવાનો આગ્રહ રાખે છે. લાલબાપુએ વ્યસનમુક્તિ માટે અનોખો સંકલ્પ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ જે યુવાન તમાકુનું વ્યસન છોડશે તેના માટે તેઓ 551 ગાયત્રી મંત્રનો જાપ કરશે, જ્યારે દારૂનું વ્યસન છોડનાર યુવાન માટે 1100 ગાયત્રી મંત્રનો જાપ કરીને તેનું પુણ્યફળ તે યુવાનને અર્પણ કરશે. આ આધ્યાત્મિક પહેલ દ્વારા અત્યાર સુધી હજારો યુવાનો વ્યસનમુક્ત બન્યા હોવાનું આશ્રમ દ્વારા જણાવવામાં આવે છે.

યુવાનોમાં વ્યસનમુક્તિનો સંદેશ વધુ વ્યાપક બને તે માટે લાલબાપુએ 1 માર્ચથી દોઢ કરોડ ગાયત્રી મંત્ર જાપનો વિશાળ સંકલ્પ શરૂ કર્યો છે. આશરે દોઢથી બે વર્ષમાં આ સંકલ્પ પૂર્ણ થવાની ધારણા છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ આશ્રમની બહાર નહીં નીકળે. માત્ર તબીબી સારવારની અનિવાર્ય જરૂરિયાત ઊભી થાય ત્યારે જ તેઓ આશ્રમ બહાર જશે. લાલબાપુના આ અનોખા આધ્યાત્મિક અને સામાજિક સંકલ્પને રાજ્ય સરકાર દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે. રાજ્યમાં યુવાનોમાં વધી રહેલા વ્યસનને લઈને ચિંતા વ્યક્ત કરતી સરકારના પ્રયાસોને પૂરક બની રહેલા આ અભિયાનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આવકારી પ્રશંસા વ્યક્ત કરી હતી.





















