Gujarat Cabinet Expansion: ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ, આ દિગ્ગજોના પત્તા કપાયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું.

Gujarat Cabinet Expansion 2025 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુવારે (16 ઓક્ટોબર) રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભવ્ય શપથવિધિ યોજાઈ હતી. કુલ 26 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. આ નવા મંત્રીમંડળમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા છે અને 19 જેટલાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા
નવા મંત્રીમંડળની યાદીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે 10 જેટલા જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. આગામી ચૂંટણી અને સંગઠનની વ્યૂહરચનાના ભાગરૂપે આ દિગ્ગજ નેતાઓને સ્થાન નથી મળ્યું.
બળવંતસિંહ રાજપૂત
રાઘવજી પટેલ
મૂળુ બેરા
ભાનુબેન બાબરીયા
બચુ ખાબડ
કુબેર ડિંડોર
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ
જગદીશ વિશ્વકર્મા
નવા મંત્રીમંડળમાં 3 મહિલાઓને પણ સ્થાન
નવા મંત્રીમંડળમાં મહિલાઓને પણ સ્થાન મળ્યુ છે. મહિલાઓમાં રિવાબા જાડેજા, દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે.
દાદાની સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો વધ્યો
ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓની પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અર્જૂનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, ડૉ પદ્યુમનભાઈ વાજા, પરશોત્તમ સોલંકી, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયાનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
જીતુભાઈ વાઘાણીએ શપથ લીધા હતા. ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા. પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયાએ પણ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. અર્જૂનભાઈને છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં સામેલ કરવાની વાત ચાલી રહી હતી.
સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કુંવરજીભાઈ બાવળીયાને પણ મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે. કુંવરજીભાઈ જસદણ વિંછીયાના ધારાસભ્ય છે. તેઓ ભૂપેન્દ્રભાઈની સરકારમાં પહેલાથી જ મંત્રીપદે યથાવત છે.
સૌરાષ્ટ્રના કદ્દાવત નેતા પરશોત્તમભાઈ સોલંકીને મંત્રીપદે યથાવત રાખવામાં આવ્યા છે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા છે.
કોડીનારના ધારાસભ્ય ડૉ પદ્યુમનભાઈ વાજાને ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. પદ્યુમનભાઈ વાજાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા છે. જામનગર ઉત્તર મતવિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાને મહિલા અને યુવા નેતા તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને લોટરી લાગી છે. સ્થાનિક સ્તરે કાના તરીકે ઓળખાતા કાંતિ અમૃતિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મોરબી શહેરના ધારાસભ્ય છે. વર્ષોથી તેઓ આ બેઠક પર ચૂંટાઈ આવે છે.






















