Amreli Rain: નદી પાસે અચાનક દિવાલ તૂટતા રસ્તો ધોવાયો, પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે.

અમરેલી : અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી છે.
દિવાલ અચાનક તૂટતા રસ્તાનો મોટો ભાગ ધોવાયો
નદી પાસેના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ અચાનક તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. રસ્તો ધોવાઈ જતા પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી અને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. કમોસમી વરસાદની વચ્ચે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
રાભડા-કણકોટ જવાના માર્ગ પર રસ્તો ધોવાયો
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતજનક સ્થિતિમાં ડુંગર પોલીસે ત્વરિત અને સરાહનીય કામગીરી કરી હતી. રાભડા-કણકોટને જોડતા માર્ગ પર રામતલિયુ નદીની નજીક રસ્તાની બાજુમાં આવેલી એક દીવાલ અચાનક તૂટી પડવાથી રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. દીવાલ તૂટી જવાથી અને રસ્તો ધોવાઈ જવાથી વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું હતું, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી. પરંતુ પોલીસની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
પોલીસે ઘટનાસ્થળે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો
આ બાબતની જાણ થતાની સાથે જ ડુંગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા હતા. માનવજીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પોલીસે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે હોમગાર્ડ જવાનોને ઘટનાસ્થળે બંદોબસ્ત માટે મોકલી આપ્યા હતા.
ધોવાણ થયેલા રસ્તાની બંને તરફ સતર્ક બંદોબસ્ત ગોઠવીને હોમગાર્ડ જવાનોએ વાહનચાલકોને જોખમી વિસ્તાર વિશે ચેતવણી આપી હતી અને વાહનવ્યવહારને સુરક્ષિત રીતે નિયંત્રિત કર્યો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી અકસ્માતની ઘટના ટળી છે.હાલમાં, તંત્ર દ્વારા રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે ત્યાં સુધી પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત ચાલુ રહેશે, જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ જનજીવન પર અસર પડી છે.





















