Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે. આટલું જ નહીં બલૂચ સેનાએ ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને બંધક બનાવી લીધા છે.

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જાફર એક્સપ્રેસને હાઇજેક કરી છે. આટલું જ નહીં બલૂચ સેનાએ ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને બંધક બનાવી લીધા છે. બલૂચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર ટ્રેન હાઇજેકની માહિતી આપી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે જાફર એક્સપ્રેસ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી. બલૂચ લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઓપરેશન મશ્કફ, ધાદર, બોલનમાં કરવામાં આવ્યું હતું. જ્યાં તેના લડવૈયાઓએ રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. જેના કારણે જાફર એક્સપ્રેસને રોકવી પડી હતી અને ટ્રેનને હાઈજેક કરવામાં આવી છે.
'જો અમે લશ્કરી કાર્યવાહી શરૂ કરીશું તો બંધકોને મારી નાખીશું'
બલૂચ લિબરેશન આર્મીના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા. BLAએ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના કોઈ પણ સૈન્ય કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેના પરિણામો ભયંકર હશે અને તમામ બંધકોને મારી નાખવામાં આવશે. આ હત્યાઓની જવાબદારી સંપૂર્ણપણે સેનાની રહેશે.
6 સુરક્ષાકર્મીઓની પણ હત્યા
બલૂચ લિબરેશન આર્મીએ જણાવ્યું કે, આ ઓપરેશન મજીદ બ્રિગેડ, એસટીઓએસ અને ફતેહ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઈપણ સૈન્ય ઘૂસણખોરીનો સમાન રીતે જોરદાર જવાબ આપવામાં આવશે. અત્યાર સુધીમાં છ સૈન્યકર્મી માર્યા ગયા છે, અને સેંકડો મુસાફરો કસ્ટડીમાં છે. બલૂચ લિબરેશન આર્મી આ ઓપરેશનની સંપૂર્ણ જવાબદારી લે છે.
ટ્રેન હાઇજેકની ઘટના કચ્છ (બોલન) જિલ્લાના પીરોકનારી વિસ્તારમાં બની હતી. હાલમાં ટ્રેન એક ટનલમાં ઊભી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેસેન્જર ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. ત્યારપછી પહેલા ટ્રેક પર વિસ્ફોટનો અવાજ સંભળાયો અને પછી ટ્રેનમાં ફાયરિંગ શરૂ થયું. આ પછી, ટ્રેનમાં હાજર સુરક્ષાકર્મીઓ અને ટ્રેન પર ફાયરિંગ કરનારા સશસ્ત્ર લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
બંધકોમાં પાકિસ્તાની આર્મી, પોલીસ, એન્ટી ટેરરિઝમ ફોર્સ (ATF) અને ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ના સક્રિય ફરજ પરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLAએ ચેતવણી આપી છે કે જો ટ્રેનમાં હાજર સૈનિકો કોઈ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.





















