'જો ભારત શેખ હસીનાને પરત નહી મોકલે તો...', બાંગ્લાદેશની ભારતને ખુલ્લી ધમકી
બાંગ્લાદેશે ગયા વર્ષે ભારતને રાજદ્વારી નોંધ મોકલીને હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી.

બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે કહ્યું હતું કે તે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ભારતથી પરત લાવવાના પોતાના પ્રયાસો ચાલુ રાખશે અને જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે.
ઢાકાથી પ્રકાશિત થતા 'ડેઇલી સ્ટાર' અખબાર અનુસાર, વચગાળાની સરકારમાં કાનૂની બાબતોના સલાહકાર આસિફ નજરુલે અહીં સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો ભારત હસીનાને પાછા મોકલવાનો ઇનકાર કરે છે તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે. હસીના (77) ગયા વર્ષે 5 ઓગસ્ટથી ભારતમાં રહે છે. 16 વર્ષ જૂની અવામી લીગ (AL) સરકાર એક વિશાળ વિદ્યાર્થી આંદોલનના દબાણ હેઠળ આવી ત્યારે તેણી ભારત આવી ગઈ હતી.
શેખ હસીના અને અન્યો સામે ધરપકડ વોરન્ટ જાહેર
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલે (ICT) "માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર" બદલ હસીના અને અનેક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો, લશ્કરી અને નાગરિક અધિકારીઓ સામે ધરપકડ વોરન્ટ જાહેર કર્યું છે.
બાંગ્લાદેશે ગયા વર્ષે ભારતને રાજદ્વારી નોંધ મોકલીને હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. નજરુલે કહ્યું, “અમે પ્રત્યાર્પણ માટે પત્ર લખ્યો છે. જો ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં કરે તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિનું સ્પષ્ટ ઉલ્લંઘન હશે.
તેમણે કહ્યું કે તે સ્થિતિમાં વિદેશ મંત્રાલય આ મામલો આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ઉઠાવવા માટે જરૂરી પગલાં લેશે. કાનૂની સલાહકારે કહ્યું કે વિદેશ મંત્રાલય પણ પ્રયાસો કરી રહ્યું છે અને 'રેડ એલર્ટ' પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે.
'હસીનાને પાછા લાવવાના પ્રયાસો ચાલુ રહેશે'
નજરુલે કહ્યું, “અમે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ. સરકાર શેખ હસીનાને પરત લાવવા માટે તમામ પ્રયાસો ચાલુ રાખશે. જો જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મેળવવામાં આવશે. ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિની જોગવાઈઓ અનુસાર, જો ગુનાઓ 'રાજકીય સ્વભાવના' હોય તો પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે.
બીજી જોગવાઈમાં જણાવાયું છે કે કોઈ વ્યક્તિને ચાર મહિના કે તેથી વધુ સમય માટે કેદની સજા અથવા અન્ય પ્રકારની અટકાયતની સજા ન મળી હોય ત્યાં સુધી તેનું પ્રત્યાર્પણ કરી શકાતું નથી.
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય





















