Hun To Bolish : પેનલ તૂટવાનો ડર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત મેળવવા માટે રાજકીય પાર્ટીઓ દમખમ પ્રચાર કરી રહી છે. જો કે હવે ગણતરીના કલાકોમાં પ્રચાર શાંત પણ થઈ જશે. પ્રચાર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ બંનેને પેનલ તૂટવાનો ડર લાગ્યો. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની જ્યા સાવલીમાં ભાજપની જાહેર સભામાં ધારાસભ્ય કેતન ઈનામદારે મતદારોને અપીલ કરી. કેતન ઈનામદારે સ્પષ્ટ કહ્યું કે કમળ સ્વરૂપે મને ચારે ચાર ઉમેદવારની જીત જોઈએ. એટલુ જ નહીં જો કોઈ ઉમેદવાર પોતાના એકલા માટે મત માગવા આવે તો તેને મત ન આપવાની પણ ઈનામદારે મતદારોને સલાહ આપી દીધી. ભાજપના ધારાસભ્ય બાદ ભાજપના ગુજરાત પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પણ નિવેદન આપ્યું. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારોમાં સભા સંબોધી. ભાષણ વચ્ચે ભાજપના ચાર ઉમેદવારોને સાથે ઉભા રાખી અને ચીમકી આપી.જો પેનલ તૂટશે તો કોઈને હોદા આપવામાં નહીં આવે.આ સાથે ચૂંટાયા બાદ જનતા વચ્ચે નહીં જાવ અને ફરિયાદ આવશે તો પ્રદેશ અને જિલ્લામાંથી ઉમેદવાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હવે વાત કરીએ અમદાવાદની જ્યાં ચાંદખેડા વોર્ડમાં ઉમેદવારો પેનલમાં પ્રચાર કરવાના બદલે અલગ-અલગ પ્રચાર કરી રહ્યા છે. રાજશ્રી કેસરી અને વર્ષા કટારા આ બંને મહિલા ઉમેદવારોએ એક સાથે પ્રચાર કર્યો. તો આ તરફ આયાતી ઉમેદવાર સુબોધ કુમુદ જેઓ અલગથી પ્રચાર કરી રહ્યા છે. જો કે, વિસ્તારમાં પહેલેથી લોકોએ આયાતી ઉમેદવારને સ્વીકારવાની મનાય કરી હતી. જો કે રાજશ્રી કેસરી અને સુબોધ કુમુદનું કહેવું છે કે, પક્ષમાં કોઈ નારાજગી નથી. વિસ્તાર મોટો હોવાથી અમે અલગ અલગ પ્રચાર કરી રહ્યા છીએ.
26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે. આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફી મતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવશે. 26મીએ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે તથા 30મી એપ્રિલ સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે. કુલ 49 હજાર 500થી વધુ મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે. દરેક બૂથ ઉપર મહત્તમ એક હજાર 200 મતદાર તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદારોએ ખૂબ દૂર સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જવું ન પડે, તે સુનિશ્ચિત કરવામાં આવશે.






















