Prahlad Modi: વિવિધ પડતર માગને લઈને આજથી રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા
વિવિધ પડતર માગને લઈને આજથી રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા. ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ એસોસિયેશને આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું. દુકાનદારોએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે..જેના પરિણામે રાજ્યની અનાજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જવાની સંભાવના છે. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં તાત્કાલિક વધારો કરવાની અને વિવિધ વહીવટી તથા ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગણીઓ સામેલ છે. વર્ષોથી પડતર માંગણીઓ પર ધ્યાન ન અપાતા આખરે એસોસિયેશને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો.દુકાનદારોની ફરિયાદ છે કે કોમ્પ્યુટરાઇઝ વેરિફિકેશનમાં વારંવાર સમસ્યાઓ સર્જાય છે, જેના કારણે ગ્રાહકોને અનાજ વિતરણમાં વિલંબ થાય છે. આ ઉપરાંત, એસોસિયેશને 80 ટકા બાયોમેટ્રિક વેરીફિકેશન ફરજિયાત કરતો પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવાની અને સિંગલ ફિંગર બાયોમેટ્રિક કોડની જોગવાઇ પણ રદ્દ કરવાની માંગ છે.
















