અરબી સમુદ્રમાં 'શક્તિ' વાવાઝોડું સક્રિય, ગીર-સોમનાથમાં પ્રશાસન એલર્ટ,110 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
Cyclone Shakti: ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'શક્તિ' ની ચેતવણી જારી કરી છે.

Cyclone Shakti: ચોમાસાની વિદાય પછી પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'શક્તિ' ની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, ચક્રવાત 'શક્તિ' ની અસર 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.
તો બીજી તરફ અરબ સાગરમાં 'શક્તિ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.
પ્રશાસન સજ્જ અને ચેતવણી
વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા વિસ્તાર પર થઈ શકે તેમ હોવાથી ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર વિભાગની ટીમ સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહી છે.
સલામતીના ભાગરૂપે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. તેમને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા અને 4 થી 6 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
પવનની ગતિ અને વરસાદની આગાહી
- હાલમાં વાવાઝોડાની આસપાસ પવનની ગતિ 64-75 કિમી પ્રતિ કલાકની છે, જેના ઝાપટાં 85 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
- 4 અને 5 ઓક્ટોબર દરમિયાન પવનની ગતિ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના ઝાપટાં 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે.
- 6 અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- તંત્ર દ્વારા તમામ નાગરિકોને, ખાસ કરીને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને, સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં પણ ચેતવણી જાહેર
તો બીજી તરફ IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, પાલઘર અને સિંધુદુર્ગ માટે ચેતવણી જારી કરી છે. ચક્રવાત 'શક્તિ' ને કારણે, 4-5 ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં 45-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
આઇએમડી અનુસાર, પવનની ગતિ વધુ વધી શકે છે. આનાથી દરિયાના મોજા તોફાની બનશે. માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે પૂર્વીય વિદર્ભ અને મરાઠવાડા પ્રદેશો સહિત મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.





















