(Source: ECI | ABP NEWS)
Cyclone Shakti: જાણો સૌરાષ્ટ્રથી કેટલું દૂર છે 'શક્તિ' વાવાઝોડું, ભારે વરસાદની કરવામાં આવી આગાહી
Cyclone Shakti: ગુજરાત પરથી ફંટાયેલું 'શક્તિ' વાવાઝોડું ફરી યુ-ટર્ન લે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાથી 550 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દરિયામાં તે અતિ પ્રચંડ બનતા તેની દિશા બદલી રહ્યું છે.

Cyclone Shakti: ગુજરાત પરથી ફંટાયેલું 'શક્તિ' વાવાઝોડું ફરી યુ-ટર્ન લે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાથી 550 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દરિયામાં તે અતિ પ્રચંડ બનતા તેની દિશા બદલી રહ્યું છે. અગાઉ તે મસ્કત-ઓમાન તરફ ફંટાયું હતું, પરંતુ હવે નબળું પડીને ફરી ગુજરાત તરફ આવી શકે છે. આ સંભાવનાને પગલે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 10 ઓક્ટોબર સુધી છૂટાછવાયા સ્થળે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટું ડીપ વિસ્તાર, પેલેટ વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયું હતું. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. જોકે, જિલ્લાના અન્ય ભાગોમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
પરેશ ગોસ્વામીની મોટી આગાહી
અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને હાલમાં તે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો 99% જેટલો ઓછો છે. જોકે, આ સિસ્ટમના કારણે 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. ગોસ્વામીએ ગુજરાતના નાગરિકોને આ વાવાઝોડાને લઈને ગભરાટ ન ફેલાવવા અને ગભરાવવું નહીં તેવી અપીલ કરી છે.
'શક્તિ' વાવાઝોડાનો સંભવિત માર્ગ અને ગુજરાત પરની અસર
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી અને 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ લાવનાર સિસ્ટમ જ અરબ સાગરમાં પ્રવેશી છે. અરબ સાગરનું ઊંચું તાપમાન અને અનુકૂળ હવામાન મળતાં આ સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે, જેને શ્રીલંકા દ્વારા 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે.
ગુજરાત તરફ યુ-ટર્નની શક્યતા: વાવાઝોડું હાલમાં ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત ઉપર એક ટ્રફ રેખા બનવાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે, જેના કારણે આ સાયક્લોન ફરીથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. ગોસ્વામીના મતે, આ યુ-ટર્ન ઓમાનથી લગભગ 300 કિલોમીટર દૂર હશે. જોકે, આ યુ-ટર્ન વખતે વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે અને આગળનું હવામાન અનુકૂળ ન હોવાથી તે ગુજરાત સુધી પહોંચતા પહેલાં જ દરિયામાં વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. આથી, ગુજરાત ઉપર લેન્ડફોલ થવાની શક્યતા 99% જેટલી ઓછી છે.
રાજ્યમાં વરસાદની આગાહી
- વરસાદની તારીખો: 7 અને 8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે 9 ઓક્ટોબરે છૂટાછવાયા ઝાપટાં પડશે.
- કચ્છમાં વરસાદ: કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, જેમ કે કંડલા, નલિયા, માંડવી, મુંદ્રા અને ગાંધીધામમાં લગભગ અડધાથી પોણો ઇંચ સુધીનો સામાન્ય વરસાદ વરસી શકે છે.
- સૌરાષ્ટ્રમાં વરસાદ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જેની તીવ્રતા થોડી વધારે હશે.




















