Gandhinagar: નવી મહાનગરપાલિકાના વિકાસ કામો માટે ક્યારેય નહીં પડે નાણાની તંગી, વિકાસનો રોડમેપ તૈયાર કરવા સીએમની હાંકલ
ગાંધીનગર: આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે.

ગાંધીનગર: નવી મહાનગરપાલિકાઓની જાહેરાત થયા બાદ આજે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરો, વહીવટદારો તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળામાં અધ્યક્ષીય સંબોધન કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.
તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે. નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી.
તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો...





















