વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી, નવા સંગઠનની કરી જાહેરાત
તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.

AHMEDABAD : જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.
યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ.
તેમણે કહ્યું કે તેમનું આ નવું સંગઠન યુવા નવનિર્માણ સેના રાજ્યસ્તરે તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત યુવાનોના હક્ક અને અધિકાર માટે કામ કરશે. આ સંગઠન પહેલા વિનંતી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે ત્યારબાદ આવેદન આપીને યુવાનોના હક્ક માટે માંગણી કરશે. જો કે એક બાજુ ચૂંટણી લડવાની વાત કરી તો બીજી બાજુ આ નવું સંગઠન બિનરાજકીય હોવાની પણ તેમણે વાત કરી.
કોંગ્રેસે આમંત્રણ પણ આપી દીધું!
યુવરાજસિંહ જાડેજાની આ જાહેરાત અંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે કહ્યું કે યુવરાજસિંહે રાજ્યના 40 લાખ બેરોજગારોનો અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે હેમાંગ રાવલે યુવરાજસિંહ જાડેજાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપી દીધું અને કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાંઓને ખુલ્લા પાડવા કહ્યું. આ સાથે હેમનગ રાવલે કહ્યું કે આજે 17 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે 300 થી પણ વધુ AAP કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.
શું કહ્યું આમ આદમી પાર્ટીએ ?
યુવરાજસિંહ જાડેજાની આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે જે રીતે યુવરાજસિંહ લડાઈ લડી રહ્યાં છે અને જે રીતે ગુજરાતમાં યુવાનોને અન્યાય થઇ રહ્યો છે, ત્યારે સરકાર આરોપ લગાવી રહી હતી કે આ રાજકીય આંદોલન છે, માટે તેમણે આજે જાહેરાત કરી છે કે આ સંગઠન બિનરાજકીય છે. યોગેશ જાદવાણીએ કહ્યું કે દરેક યુવાનને ચૂંટણી લડવાનો અધિકાર છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















