આ સરકારી કર્મચારીઓને નહીં મળે 25 લાખની ગ્રેચ્યુઇટી, જાણો શું કહે છે UPS નિયમો
1 એપ્રિલથી લાગુ થનારી નવી પેન્શન યોજનામાં ગ્રેચ્યુઇટીના નિયમો NPS મુજબ જ રહેશે, સેવા અને પગારના આધારે થશે ચુકવણી.

Unified Pension Scheme gratuity: કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2025થી પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના 'યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)' શરૂ કરવા જઈ રહી છે. આ યોજના જૂની પેન્શન યોજના (OPS) અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ની વિશેષતાઓને એકસાથે લાવે છે. તાજેતરમાં જ સરકારે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા કરી છે, પરંતુ UPS હેઠળ તમામ સરકારી કર્મચારીઓને આ રકમ મળશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
ગયા વર્ષે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ફેરફાર જાન્યુઆરી 1, 2024થી અમલમાં આવ્યો છે. જો કે, આનો અર્થ એ નથી કે દરેક સરકારી કર્મચારીને નિવૃત્તિ સમયે આ પૂરી રકમ ગ્રેચ્યુઇટી તરીકે મળશે.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
ગ્રેચ્યુઇટીની ગણતરી માટે એક ખાસ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. નિયમો અનુસાર, કર્મચારીને તેના છેલ્લા પગાર (મૂળભૂત પગાર + મોંઘવારી ભથ્થું)ના 16.5 ગણા અથવા 25 લાખ રૂપિયા, આ બેમાંથી જે ઓછું હોય તે ગ્રેચ્યુઇટી તરીકે પ્રાપ્ત થાય છે. આનો સીધો અર્થ એ છે કે ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીની સેવા અવધિ અને તેના છેલ્લા પગાર પર આધાર રાખે છે.
ગ્રેચ્યુઇટીના પ્રકાર અને નિયમો:
સરકારી કર્મચારીઓને મુખ્યત્વે બે પ્રકારની ગ્રેચ્યુઇટી મળે છે: નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને ડેથ ગ્રેચ્યુઇટી
નિવૃત્તિ ગ્રેચ્યુઇટી: આ ગ્રેચ્યુઇટી નિવૃત્તિ સમયે કર્મચારીને મળે છે. તેની ગણતરી સેવાના દરેક 6 મહિના માટે મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના ચોથા ભાગને જોડીને કરવામાં આવે છે. જો કે, આ રકમ વધુમાં વધુ 16.5 ગણા પગાર અથવા 25 લાખ રૂપિયાથી વધારે હોઈ શકે નહીં. નિવૃત્તિ ગ્રેચ્યુઇટી મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી 5 વર્ષની સેવા પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
મૃત્યુ ઉપદાન (ડેથ ગ્રેચ્યુઇટી): જો કોઈ કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના પરિવારને આ ગ્રેચ્યુઇટી મળે છે. તેની ગણતરી કર્મચારીની સેવાના વર્ષોના આધારે કરવામાં આવે છે. 1 વર્ષથી ઓછી સેવા માટે 2 ગણો પગાર, 1 થી 5 વર્ષ માટે 6 ગણો પગાર, 5 થી 11 વર્ષ માટે 12 ગણો પગાર, 11 થી 20 વર્ષ માટે 20 ગણો પગાર અને 20 વર્ષથી ઉપરની સેવા માટે દર 6 મહિને અડધો પગાર ગ્રેચ્યુઇટી તરીકે ચૂકવવામાં આવે છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ ગ્રેચ્યુઇટીનું શું થશે?
તાજેતરમાં સંસદમાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ ગ્રેચ્યુઇટી જૂની પેન્શન યોજના (OPS) અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ની જેમ ઉપલબ્ધ થશે કે નહીં. આ પ્રશ્નના જવાબમાં નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે UPS એ NPS હેઠળનો એક વિકલ્પ છે અને ગ્રેચ્યુઇટીની ચુકવણી "સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુટીની ચુકવણી) નિયમો, 2021" અનુસાર જ કરવામાં આવશે.
આનો અર્થ એ છે કે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ પણ ગ્રેચ્યુઇટીના નિયમો રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) મુજબ જ લાગુ થશે. તેથી, 25 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા હોવા છતાં, દરેક સરકારી કર્મચારીને આ પૂરી રકમ મળશે નહીં. ગ્રેચ્યુઇટીની રકમ કર્મચારીની સેવા અવધિ અને તેના છેલ્લા પગારના આધારે નક્કી કરવામાં આવશે. કર્મચારીઓએ આ નિયમોને ધ્યાનમાં રાખીને પોતાની નિવૃત્તિની યોજના બનાવવી જોઈએ.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















