હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને છેલ્લા પગારના 50% સુધી પેન્શનની ગેરંટી, 10 વર્ષથી વધુ સેવા પર ઓછામાં ઓછું ₹10,000 પેન્શન.
Unified Pension Scheme 2024: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે જાહેર કરેલી નવી એકીકૃત પેન્શન યોજના (યુનિફાઇડ પેન્શન સ્કીમ) આગામી નાણાકીય વર્ષ એટલે કે 1લી એપ્રિલ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા ગુરુવારે આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નવી પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ નિશ્ચિત પેન્શનની સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજના રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ જ કેન્દ્રીય કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
આ નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીઓને અનેક મોટા ફાયદાઓ મળવા જઈ રહ્યા છે. યોજનાની મુખ્ય જોગવાઈઓ અનુસાર, જે પણ સરકારી કર્મચારીઓએ તેમની સેવામાં 25 વર્ષનો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હશે, તેઓ તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના 50 ટકા સુધી પેન્શનની ગેરંટી મેળવવા માટે હકદાર બનશે. આટલું જ નહીં, જો કોઈ કર્મચારીએ 10 વર્ષથી વધુની સેવા પૂરી કરી હોય તો તેમને દર મહિને ઓછામાં ઓછું 10,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ સરકારી કર્મચારીનું સેવા દરમિયાન દુઃખદ અવસાન થાય છે, તો તેમના પરિવારના સભ્યોને પણ છેલ્લા મળેલા પેન્શનની 60 ટકા રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. આ જોગવાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પ્રદાન કરશે.
ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2004માં જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) બંધ કરી દીધી હતી અને તેના સ્થાને રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme - NPS) શરૂ કરી હતી. શરૂઆતમાં આ યોજના ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ હતી, પરંતુ વર્ષ 2009માં તેને દેશના તમામ નાગરિકો માટે લાગુ કરવામાં આવી હતી. હવે આ જ અંતર્ગત યુનિફાઇડ પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. યુપીએસમાં કર્મચારીઓના પગારમાંથી એક નિશ્ચિત રકમ કાપવામાં આવે છે અને આ રકમનું રોકાણ બજાર આધારિત વિવિધ રોકાણ યોજનાઓમાં કરવામાં આવે છે. નિવૃત્તિ સમયે કર્મચારીઓને જમા થયેલી રકમના 60 ટકા ભાગ એકસાથે મળે છે, જ્યારે બાકીના 40 ટકા રોકાણ પેન્શન ફંડમાં રાખવામાં આવે છે, જે તેમને દર મહિને પેન્શનના રૂપમાં પ્રાપ્ત થાય છે.
જૂની પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં પેન્શનની કોઈ નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવતી ન હતી. આ યોજનાઓ હેઠળ કર્મચારીઓને મળતું પેન્શન શેર બજાર અને અન્ય રોકાણોના પ્રદર્શન પર આધારિત હતું, જેના કારણે કર્મચારીઓમાં અનિશ્ચિતતાનો ભાવ રહેતો હતો. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ થવાથી સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી એક નિશ્ચિત આવક મળતી રહેશે, જે તેમને આર્થિક રીતે સુરક્ષિત કરશે. સરકારના આ નિર્ણયથી લાખો સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે તે નિશ્ચિત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
