રૂપાણી સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 3700 કરોડનું રાહત પેકેજ, જાણો ક્યા ખેડૂતોને મળશે લાભ ?
ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર જમીનના માલિક 27 લાખ ખેડૂતોને મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ઓગસ્ટ-2020માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે. મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.
રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. જેમાં 33 % અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે. રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વિચારણા કરશે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















