Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Dhanera Nagar Palika: બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગર પાલિકાને લઇને માહિતી સામે આવી રહી છે કે, ઉગ્ર વિરોધ અને આંદોલનને લઇને ચૂંટણી ટાળી દેવામાં આવી છે

Dhanera Nagar Palika Elections: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં અટકી પડેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં આગામી 16મી ફેબ્રુઆરીએ 68 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 18મી ફેબ્રુઆરી કરવામાં આવશે, આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણને પ્રેસ કૉન્ફરન્સ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને માહિતી આપી હતી. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટુ અપડેટ છે કે આ વખતે ધાનેરા નગરપાલિકાને આ ચૂંટણીમાંથી ચૂંટણી પંચે બાકાત રાખ્યુ છે.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગર પાલિકાને લઇને માહિતી સામે આવી રહી છે કે, ઉગ્ર વિરોધ અને આંદોલનને લઇને ચૂંટણી ટાળી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાનું થોડાક દિવસો પહેલા રાજ્ય સરકારે વિભાજન કર્યુ હતુ, ત્યારબાદ જિલ્લાના એકભાગને બનાસકાંઠામાં રાખ્યુ હતુ અને બીજા એક ભાગને વાવ થરાદ નામથી નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ ઉઠી હતી. જેને લઇને હજુ પણ વિરોધ ઉગ્ર જ સ્થિતિમાં છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી રાજ્ય ચૂંટણી પંચે ધાનેરાને બાકાત રાખ્યુ છે.
છેલ્લા 21 દિવસથી થઇ રહ્યા છે વિરોધ -
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે છેલ્લા 21 દિવસથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં વધાવત રાખવા આજે ધાનેરાવાસીઓએ સજ્જડ બંધ પાળ્યો છે. અને તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા જનઆક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના વેપારીઓએ દુકાનો બંધ રાખી આ બંધને સમર્થન પુરૂ પાડ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક રહીશો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
શા માટે ધાનેરાવાસીઓને નવા જિલ્લામાં નથી જવું ?
વધુમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતીં. તેમણે કહ્યું કે, અમારે પાલનપુર જવું હોય તો રોજની 50 બસો મળે છે. અમારા બધા જ દીકરા-દીકરીઓ પાલનપુરમાં ભણે છે. અમારા છોકરાઓ ધંધા કરે છે તો તે ડિસા, પાલનપુર, સુરત અને અમદાવાદ સુધી કરે છે. તેમના માટે આ એક સેટઅપ ગોઠવાઈ ગયું છે. તેને તોડીને અમને થરાદમાં મુકી દેવામાં આવ્યાં છે. જ્યાં જવા માટે માત્ર 3 બસ જ મળે છે. બીજું કોઈ સાધન મળતું નથી. અમારૂ બધુ જ સામાજિક, ધાર્મિક, આર્થિક અને મેડિકલનું કામ પાલનપુર સાથે જોડાયેલું છે. એટલા માટે અમે માત્ર પાલનપુરમાં જ રહેવા માંગીએ છીએ.
ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી ?
જુનાગઢ મહાનગરપાલિકા
66 નગરપાલિકા
તાલુકા પંચાયત: કઠલાલ, કપડવંજ, ગાંધીનગર
મધ્યસત્ર ચૂંટણી: બોટાદ અને વાંકાનેર ન.પા.
ક્યાં ક્યાં યોજાશે પેટાચૂંટણી?
મનપા: 3 બેઠક
નગરપાલિકા: 21 બેઠક
જિલ્લા પંચાયત: 09 બેઠક
તાલુકા પંચાયત: 91 બેઠક
મહત્વની તારીખો
ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025
મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
આ પણ વાંચો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણી મતદાન અને પરિણામની તારીખ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
