ભવનાથ મેળા માટે ST નિગમ સજ્જ: 195 વધારાની બસો અને 7800 ટ્રીપોનું આયોજન, 3.70 લાખ ભક્તોને મળશે સુવિધા
શિવભક્તો માટે ખાસ સુવિધા: આવતીકાલથી શરૂ થતા મિની કુંભ મેળા માટે તંત્ર સજ્જ; ગિરનાર તળેટી સુધી 80 અને અન્ય જિલ્લાઓ માટે 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે, તમામ બસોનું GPS થી મોનિટરિંગ.

Bhavnath Mela 2026: આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં ૭૮૦૦થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મહાશિવરાત્રી મેળાને 'મિનિ કુંભ મેળા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ ૧૯૫ વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ બસોનું 24*7 જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.
એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ સુદ્રઢ આયોજનને કારણે શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આનંદ માણી શકશે.
દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે 11મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7:00 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2,000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 27*7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા 25 અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.























