દિવાળી 2025: ગુજરાત ST નિગમ દ્વારા 2,600થી વધુ એક્સ્ટ્રા બસોનું આયોજન, 5 લાખ મુસાફરોને મળશે લાભ
દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સૌથી મોટો ટ્રાફિક સુરત શહેરમાંથી જોવા મળે છે.

Diwali 2025 GSRTC buses: ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આગામી દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યભરના મુસાફરોની સુવિધા માટે 2,600થી વધુ એક્સ્ટ્રા દૈનિક બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 19 ઓક્ટોબર 2025 દરમિયાન ચાલનારા આ વિશેષ આયોજનથી રાજ્યના અંદાજે 5 લાખથી વધુ નાગરિકોને પોતાના વતન જવાનો લાભ મળશે. આ વિશેષ બસ સેવાઓમાં, એકલા સુરત શહેરમાંથી જ વિવિધ સ્થળો માટે સૌથી વધુ 1,600 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ-દાહોદના શ્રમજીવીઓને ધ્યાનમાં રાખીને આયોજિત કરાઈ છે. આ ઉપરાંત, મુસાફરોની સરળતા માટે ઓનલાઈન બુકિંગ અને 'એસ.ટી. આપના દ્વારે' જેવી વિશેષ યોજનાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
મુખ્યમંત્રીના નિર્દેશ હેઠળ દિવાળી માટે વિશેષ વ્યવસ્થા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં, GSRTC દ્વારા વર્ષ દરમિયાન આવતા મુખ્ય તહેવારો, ખાસ કરીને દિવાળીના સમયમાં, નાગરિકોને તેમના વતનમાં ઉજવણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ નિગમના તમામ વિભાગો દ્વારા તારીખ 16 થી 19 ઓક્ટોબર 2025 દરમિયાન આ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે.
સુરતથી સૌથી વધુ 1,600 બસોનું આયોજન
દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સૌથી મોટો ટ્રાફિક સુરત શહેરમાંથી જોવા મળે છે. ખાસ કરીને સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે નિગમ દ્વારા એકલા સુરત શહેરમાંથી જ 1,600 જેટલી એક્સ્ટ્રા બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળવાર બસ સુવિધા:
- સૌરાષ્ટ્ર: મુસાફરોને સુરત શહેરના રામચોક અને મોટા વરાછા ખાતેથી એસ.ટી. બસ મળશે.
- ઉત્તર ગુજરાત અને અમદાવાદ: મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે.
- દાહોદ અને પંચમહાલ: શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત શહેરી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર, રાંદેર રોડ, સુરત ખાતેથી બસ મળી રહેશે.
અન્ય વિભાગો દ્વારા 1,000 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન
સુરત વિભાગ ઉપરાંત, નિગમના અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગો દ્વારા પણ મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે અંદાજે 1,000 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આમ, રાજ્યભરમાં કુલ 2,600થી વધુ દૈનિક એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન થશે.
મુસાફરોની સુવિધા માટે એસ.ટી. નિગમની વેબસાઇટ www.gsrtc.in, મોબાઇલ એપ તેમજ એસ.ટી. દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો અને બસ સ્ટેશનો પરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવી શકાશે. વધુમાં, આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનાર મુસાફરો માટે "એસ.ટી. આપના દ્વારે" યોજના અંતર્ગત તેમને જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે.





















