રાજ્યના 54 શહેરોની કાયાપલટ થશેઃ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કાર્યો પ્રગતિ હેઠળ
રાજ્ય સરકારે "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" દ્વારા ખાસ કરીને નાના શહેરોમાં પાયાની જનસુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂક્યો છે.

ગુજરાત હાલમાં 2025ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવી રહ્યું છે. આ યાત્રાનો પ્રારંભ 2005માં થયો હતો, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત 'શહેરી વિકાસ વર્ષ'ની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક પહેલને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી આ વિકાસ યાત્રાને વધુ વેગ આપવા કટિબદ્ધ છે. આ જ કારણ છે કે તેમણે 20 વર્ષ બાદ, 2025ને પુનઃ એકવાર 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. તેમના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકાર "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" (SJM SVY) અંતર્ગત રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે 'ઇઝ ઑફ લિવિંગ' સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નશીલ છે.
વર્ષ 2010માં જ્યારે ગુજરાતે પોતાની સ્થાપનાની સુવર્ણ જયંતિ ઉજવી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2009-10માં 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'નો અમલ કર્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોના વિકાસને પણ પ્રોત્સાહન આપવાનો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શહેરી નાગરિકોના 'ઇઝ ઑફ લિવિંગ'માં વૃદ્ધિ કરવા માટે ખુલ્લા મને અને ઉદારતાપૂર્વક ભંડોળ ફાળવી રહ્યા છે. નોંધનીય છે કે, તેઓ શહેરી વિકાસ માટેની નાણાકીય ફાળવણીમાં નાના શહેરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આના પરિણામે, આજે રાજ્યના મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ વિકાસનો ધમધમાટ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારે "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના" દ્વારા ખાસ કરીને નાના શહેરોમાં પાયાની જનસુવિધાઓ ઊભી કરવા પર ભાર મૂક્યો છે. આ યોજના આજે રાજ્યના નાના શહેરો માટે ખરા અર્થમાં 'મોટી સરકાર' સાબિત થઈ છે. આ યોજના હેઠળ, રાજ્ય સરકારે વર્ષ 2014-15 થી 2024-25 એટલે કે છેલ્લા 10 વર્ષમાં ₹3924.97 કરોડ, એટલે કે અંદાજે ₹4 હજાર કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપન અને ભૂગર્ભ ગટર યોજના જેવી પાયાની સુવિધાઓના કાર્યો શરૂ કર્યા હતા. તેમાંથી ₹2526.98 કરોડના કાર્યો પૂર્ણ થવાથી અનેક નાના શહેરોના નાગરિકોને પાણી-ગટર જેવી મૂળભૂત સુવિધાઓ સુલભ બની છે, જેનાથી તેમના 'ઇઝ ઑફ લિવિંગ'માં નોંધપાત્ર સુધારો થયો છે. હાલમાં પણ, રાજ્યના 54 શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ₹1398.19 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'ના અમલીકરણ માટે વિવિધ નોડલ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ પૈકી, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) ને નાના શહેરોમાં વિકાસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, GUDC દ્વારા આ યોજના હેઠળ મુખ્યત્વે રાજ્યના નાના શહેરોમાં છેલ્લા 10 વર્ષમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), પાણી પુરવઠા યોજના અને ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
જળ વ્યવસ્થાપનના કાર્યોએ નાના શહેરોને મુશ્કેલીઓથી મુક્ત કર્યા
'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' હેઠળ છેલ્લા 10 વર્ષમાં કરાયેલા જળ વ્યવસ્થાપનના કાર્યોએ નાના શહેરોને ગંદા પાણીના નિકાલ સંબંધિત નાની-મોટી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવી છે. આમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. GUDC દ્વારા ₹283.80 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુલ 16 પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, મહેસાણા અને વડનગર જેવા શહેરોમાં કુલ ₹58.74 કરોડના ખર્ચે આ બે પ્રોજેક્ટ્સનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે, 14 પ્રોજેક્ટ્સ હેઠળ ₹225.06 કરોડના ખર્ચે ગઢડા, કઠલાલ, પાટડી, ઉપલેટા, સાવરકુંડલા, બાયડ, સિદ્ધપુર, સોજિત્રા, વલ્લભ વિદ્યાનગર, વંથલી, મોડાસા, વિરમગામ, ઠાસરા, તરસાડી ખાતે કામગીરી પ્રગતિ હેઠળ છે.
પાણી પુરવઠા યોજનાઓએ વધાર્યું 'ઇઝ ઑફ લિવિંગ'
છેલ્લા 10 વર્ષમાં GUDC એ રાજ્યના 8 શહેરોમાં ₹216.8 કરોડના ખર્ચે પાણી પુરવઠાના 10 પ્રોજેક્ટ્સ હાથ ધર્યા હતા. આમાં વિજલપોર, તરસાડી, દાહોદ ફેઝ-2, વેરાવળ-પાટણ, પાટણ, તરસાડી ભાગ-2, કનકપુર કનસાડ, સુરેન્દ્રનગર, તરસાડી ભાગ-3 અને કલોલ (ઈમરજન્સી વોર્ડ નં. 6) નો સમાવેશ થાય છે. આ 10 કાર્યો પૈકી 9 પ્રોજેક્ટ્સ હેઠળ કુલ ₹212.95 કરોડના કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત, ₹3.85 કરોડના ખર્ચે તરસાડી ભાગ-3ના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજનાઓથી હજારો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો મળતો થયો છે, જેના પરિણામે તેમના 'ઇઝ ઑફ લિવિંગ'માં નોંધપાત્ર સુધારો થયો છે.
ભૂગર્ભ ગટર યોજનાઓએ સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓમાં કર્યો વધારો
GUDC એ 'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના ₹2255.29 કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે. આ કાર્યો પૂર્ણ થવાથી સંબંધિત શહેરોના નાગરિકોની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. GUDC દ્વારા જે શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાઓના કાર્યો પૂર્ણ કરાયા છે તેમાં ધોળકા, વિરમગામ, બગસરા, અમરેલી, પેટલાદ, ખંભાત, આણંદ, બોરસદ, ડીસા, પાલનપુર, અંકલેશ્વર, ભરૂચ, પાલીતાણા, મહુવા, છોટાઉદેપુર, દેવગઢબારિયા, દાહોદ, ઝાલોદ, કલોલ, વેરાવળ-પાટણ, નડિયાદ, અંજાર, ભચાઉ, સંતરામપુર, ઊંઝા, કડી, મહેસાણા, વિસનગર, વડનગર, રાજપીપળા, નવસારી, વિજલપોર, બિલિમોરા, ગણદેવી, ગોધરા, શહેરા, કાલોલ, સિદ્ધપુર, પાટણ, હિંમતનગર, ખેડબ્રહ્મા, તરસાડી, બારડોલી, કનકપુર-કનસાડ, માંડવી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સોનગઢ, વ્યારા, ડભોઈ, વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, ધોળકા, રાજપીપળા અને ગાંધીધામનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કુલ 49 અન્ય શહેરો માટે ₹1100.83 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે. આમાં કઠલાલ, મોડાસા, ધરમપુર, પારડી, બાવળા, મોરબી, મુંદ્રા-બરોઈ, ઉમરેઠ, ધોળકા, વંથલી, જંબુસર, ઉપલેટા, કરજણ, પાલીતાણા, ઉના, ગોધરા, વિસનગર, વિજાપુર, અંજાર, ધ્રાંગધ્રા, વ્યારા, રાધનપુર, તલાલા, ઠાસરા, ચાણસ્મા, થરાદ, ધોરાજી, વેરાવળ, ગારિયાધાર, વલ્લભીપુર, બાયડ, રાજુલા, જાફરાબાદ, વાપી, કોડીનાર, બોરસદ, હાલોલ, હારિજ, ઇડર, ઊંઝા, અંકલેશ્વર, સાવરકુંડલા, તરસાડી, વડાલી, શિહોર, આમોદ, માંડવી (કચ્છ), બાલાસિનોર અને વિરમગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, વાપી અને વિરમગામમાં ₹68.25 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ (સ્ટ્રોમ વોટર ડ્રેનેજ)ના કામો પણ પ્રગતિ હેઠળ છે.





















