ઈસુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતમા હુંકાર, કહ્યું- 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'
પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું છે.

સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ આજે મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કર્યું છે. મોડાસાના ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર છે. આ ખેડૂત અને પશુપાલક પંચાયતમાં ઈસુદાન ગઢવીએ હુંકાર કરતા કહ્યું કે, 'ખેડૂત અને પશુપાલકો માટે ગોળી ખાવા તૈયાર છીએ'.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું, હું ખેડૂત પુત્ર છું સામાન્ય નાગરિક છું. મારે મુખ્યમંત્રી નથી બનવું. ડેરીમાં ફેટમા ગરબડ કરવામાં આવે છે. ખેડૂતો અને પશુ પાલકની આ મહેનત છે પરંતુ મલાઇ ભાજપાના નેતાઓ લઈ જાય છે. 37 વર્ષ પહેલાં ખેડૂત આંદોલન થયું હતું જેમાં 10 ખેડૂતોના મોત થયા હતા.કોંગ્રેસે ગોળીઓ વરસાવી હતી. ત્યારથી કોંગ્રેસ સત્તા પર નથી.
ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા
વધુમાં ઈસુદાને ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું, ભાજપ ખેડૂતોને લૂંટી રહી છે. ભાજપના કાર્યક્રમમાં ડેરી લાખોના ખર્ચા કરે છે. રાજ્યના 54 લાખ ખેડૂત આપ પાર્ટીની રાહ જોઈ રહ્યા છે. ભાજપનો અહંકાર હવે પૂરો થશે. ખેડૂતો અને પશુપાલકો માટે આપ લડવા માટે તૈયાર છે. હવે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે.
રાજયમાં વિસાવદરવાળી કરવા ઈસુદાનનું આહવાન. આપ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે પશુપાલકો સામેના કેસ પાછા ખેંચવામાં આવે. મૃત્યુ પામનાર પરિવારને એક કરોડની સહાય કરવામાં આવે.
પશુપાલકોની માંગણીઓ અને 'આપ'નો સંદેશ
આ મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ સાબરડેરી સાથે સંકળાયેલા પશુપાલકોની પડતર માંગણીઓને વાચા આપવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. AAP ના નેતાઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડાએ સાબરકાંઠાથી એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સાગરભાઈ રબારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી પશુપાલકોની 5 મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ મજબૂતાઈથી લડત ચાલુ રાખશે.
ડેરી સંચાલકો પર ગંભીર આક્ષેપો
આ મુદ્દે રાજુભાઈ કરપડાએ સાબરડેરીના સંચાલકો પર સીધા અને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું છે કે, "પશુપાલકોના નફાના પૈસા ડેરી સંચાલકોએ ભાજપના 'તાઈફા' (ઉત્સવો કે નિરર્થક ખર્ચાઓ) પાછળ વાપરી નાખ્યા છે." આ આક્ષેપો દ્વારા AAP ડેરીના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હોવાનું દર્શાવવા માંગે છે.





















