શું માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલમાં જશે? SIT એ 3 દિવસમાં બીજીવાર બોલાવ્યો, અત્યાર સુધીમાં 13ની ધરપકડ
નવા-જૂનીના એંધાણ: ૩ દિવસમાં બીજી વખત લોકગાયક માયાભાઈના પુત્રની પૂછપરછ; નવનીત બાલધિયાએ SIT ને આપ્યા 15 પુરાવા, કહ્યું- "હુમલાખોરો વીડિયો કોલ પર કોની સાથે વાત કરતા હતા તેની તપાસ કરો."

Jayraj Ahir SIT Summons: ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં જેમના નામની શરૂઆતથી ચર્ચા છે, તેવા લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ને SIT દ્વારા આજે બપોરે ફરી એકવાર સમન્સ (Summons) પાઠવવામાં આવતા તેઓ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે હાજર થયા છે. પોલીસ કચેરી બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે.
૩ દિવસમાં બીજી વાર પૂછપરછ
SIT દ્વારા આ કેસની તપાસ ખૂબ જ ઝીણવટભરી રીતે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 3 દિવસ પહેલા જ જયરાજ આહીરને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાડા ત્રણ કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. ત્યારે જયરાજે મીડિયાને કહ્યું હતું કે, "SIT જ્યારે પણ બોલાવશે ત્યારે હું સહકાર આપવા હાજર રહીશ." જોકે, ટૂંકા ગાળામાં ફરીથી તેડું આવતા જયરાજની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.
નવનીત બાલધિયાનો ધડાકો: "મારી પાસે 15 પુરાવા છે"
ફરિયાદી નવનીત બાલધિયાએ SIT સમક્ષ હાજર થઈને દાવો કર્યો છે કે તેણે તપાસ ટીમને કુલ 15 જેટલા મહત્વના પુરાવા (Evidences) સોંપ્યા છે. બાલધિયાનો આક્ષેપ છે કે આ હુમલા પાછળનો મુખ્ય દોરીસંચાર જયરાજ આહીરનો જ છે. તેણે પોલીસ સમક્ષ માંગ કરી છે કે, "જ્યારે મારા પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ વીડિયો કોલ (Video Call) પર કોની સાથે વાત કરી રહ્યા હતા તેની કોલ ડિટેલ્સ તપાસવામાં આવે તો સત્ય આપોઆપ બહાર આવી જશે."
શા માટે થયો હતો હુમલો?
આ સમગ્ર વિવાદ એક 'માફી વીડિયો' ને કારણે શરૂ થયો હતો. 29 December, 2025 ના રોજ નવનીત પર હુમલો થયો હતો. નવનીતના જણાવ્યા મુજબ, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટી અંગે ખોટો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે નવનીતે ફોન કરીને જાણ કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વાત માયાભાઈના પુત્ર જયરાજને પસંદ ન આવતા તેણે કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ છે.
ધરપકડનો આંકડો 13 પર પહોંચ્યો
પોલીસ એક્શન મોડમાં છે અને અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ (Arrest) કરી લેવામાં આવી છે.
અગાઉ પકડાયેલા: નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાનભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી.
તાજેતરમાં પકડાયેલા: રતનપર નવાગામના ઉત્તમ ભરતભાઈ બાંભણીયા અને બગદાણાના અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા.






















