Junagadh News: કીર્તિ પટેલની વધી મુશ્કેલી, વેરાવળના ખોડીયાર આશ્રમના મહંતે નોંધાવી ફરિયાદ
ભવનાથ મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરીને ઉભા કરેલા વિવાદ મુદ્દે વેરાવળ ખોડીયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે

Junagadh News: સતત વિવાદોમાં રહેનારી કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ભવનાથ મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરીને ઉભા કરેલા વિવાદ મુદ્દે વેરાવળ ખોડીયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે બજરંગદાસ બાપુએ જૂનાગઢના સાધુ-સંતો પર પણ આકરા પ્રહાર કર્યા હતા. જૂનાગઢના એક આશ્રમમાં કીર્તિ પટેલ રોકાઈ હોવાની અને ત્યાના સાધુઓએ જ તેને ભગવા કપડા પહેરાવ્યા હોવાની પણ બજરંગદાસ બાપુએ આશંકા વ્યક્ત કરી. કીર્તી પટેલના રિમાન્ડ મેળવી તમામ વિગતો સામે લાવવાની બજરંગદાસ બાપુએ માંગ કરી હતી. જૂનાગઢ પોલીસે પણ બજરંગદાસ બાપુનું ફરિયાદ નોંધીને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તો સમગ્ર વિવાદ મુદ્દે જૂનાગઢ ગ્રામ્ય પોલીસે પણ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સાધુનો વેશ ધારણ કરી મૃગીકુંડમાં સ્નાન કરવા અને ફરજ બજાવતા કે.જે.મોડ સાથે ગેરવર્તન કરવાનો કીર્તિ પટેલ પર આરોપ છે. પોલીસે આરોપ લગાવ્યો કે જ્યારે તેને રોકવામાં આવી તો કીર્તિ પટેલે હાજર પોલીસકર્મી સાથે ગેરવર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મૃગીકુંડમાં સ્નાન કરનાર કીર્તિ પટેલ સિવાયના સંસારી લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવામાં આવી છે. મૃગીકુંડમાં સ્નાન કરનાર પોલીસ અધિકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીના પવિત્ર મૃગીકુંડ સ્નાન દરમિયાન સર્જાયેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. કીર્તિ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાયાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેરાવળ ગીર સોમનાથ સ્થિત ખોડિયાર આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ફરિયાદ મુજબ ભગવા વસ્ત્રો પહેરી સાધુઓની સાથે સ્નાન કરવામાં આવ્યું, જેનાથી સાધુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવાયું છે. મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ જણાવ્યું કે આ ઘટના માત્ર એક વ્યક્તિ સુધી સીમિત નથી, પરંતુ છળકપટથી સ્નાન કરનાર અન્ય વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સાધુ-સંતો સિવાય સ્નાન કરનાર તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય.
જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ડી.વાય.એસ.પી. રવિરાજ સિંહ પરમારે પત્રકાર પરિષદ સંબોધી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલ સાધુનો વેશ ધારણ કરીને પ્રવેશ્યા હતા. ફરજ બજાવતા પોલીસ અધિકારી કે. જે. મોડ સાથે ગેરવર્તન તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ ફરિયાદ નોંધાવી છે. આ મામલે બજરંગદાસ બાપુ દ્વારા પણ ધાર્મિક આસ્થા દુભાયાની અન્ય ફરિયાદ નોંધાવવામાં આવી છે એટલું જ નહીં સાથે જ મૃગીકુંડમાં સ્નાન કરનાર અન્ય સંસારી લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં માંગ છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે, જેમાં સ્નાન કરનાર પોલીસ અધિકારીની ભૂમિકા અંગે પણ હાલ તપાસ ચાલી રહી છે.























