Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આાગાહી કરી છે.
ગાંધીનગર: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ આાગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન
તાપમાનમાં પણ કોઈ ખાસ ફેરફાર નહીં થાય. સૌથી ઊંચું તાપમાન અમરેલી અને રાજકોટમાં નોંધાયું છે. સૌરાષ્ટ્રના આ બંને શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 36 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગના અનુસાર, મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે. રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠામાં પાકને નુકસાનની ભીતિ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા ડીમાંગ વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખેડૂતોને બાજરી જુવાર, રજ્કો સહિત પાકોમાં નુકશાન થવાની ભીતી છે. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારા બાદ ઠંડક પ્રસરી હતી.
બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે ખેતરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.























