(Source: Poll of Polls)
Ambalal Patel : 2 નવેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહશે.

ગાંધીનગર : રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહશે. એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે. આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.
2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે.
લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેશે. દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે. ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ છે. મગફળી, કઠોળ, કપાસ સહિતના પાક ને નુકસાન થયું છે. નવેમ્બરના શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂઆત થશે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.





















