ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
વાઈબ્રન્ટ નવરાત્રી, રણોત્સવ અને પતંગોત્સવ સહિતના ઉત્સવો અને સ્થળો પર પ્રવાસીઓનો ભારે પ્રતિસાદ

Gujarat tourism growth 2025: ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ એટલે રાષ્ટ્રીય પર્યટન દિવસ. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓએ ભાગ લીધો છે, જે રાજ્યના પ્રવાસન ક્ષેત્રની સફળતાનું પ્રતિબિંબ છે.
છેલ્લા બે વર્ષમાં પર્યટકોની સંખ્યા:
સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં ૨૩.૧૨ લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.
રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ ૧૭.૮૩ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં ૦૫ લાખ પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો.
તરણેત્તર મેળામાં ૦૪ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા.
પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા.
ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ જેવા વિવિધ સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧૭.૨૬ કરોડથી વધુ તેમજ વર્ષ ૨૦૨૪માં ૧૮.૬૨ કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.
કચ્છ રણોત્સવ: ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
ગુજરાતમાં ઉત્તરાયણનું આગવું મહત્વ છે. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ
વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે ઓળખાતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રી ઉત્સવ એ ૧૦ દિવસનો ઉત્સવ છે. છેલ્લા બે વર્ષમાં અંદાજે ૨૩.૧૨ લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા.
માં નર્મદા ગુજરાતમાં જ્યાંથી પ્રવેશે છે તે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-૨૦૨૪’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં દર વર્ષે ૨૫મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય પર્યટન દિવસ "ટુરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ"ની થીમ ઉપર ઉજવાશે.
આ પણ વાંચો...
કન્હૈયા કુમારનું મોટું નિવેદન: 'અમે PM મોદીની વિરુદ્ધ નથી, પણ તેઓ...'
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
