સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Surendranagar land scam રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો નિર્ણય લેતા સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની બદલીના આદેશો જારી કર્યા છે.

Surendranagar land scam: સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા 1500 કરોડના ચકચારી જમીન કૌભાંડ (Land Scam) મામલે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓએ લાલ આંખ કરી છે. આ પ્રકરણમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલિક અસરથી બદલી (Transfer) કરી દેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસ બાદ ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB) એ કલેક્ટર સહિત કુલ 4 લોકો સામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
કલેક્ટર પાસેથી ચાર્જ છીનવાયો, DDO ને સોંપાઈ જવાબદારી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો નિર્ણય લેતા સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની બદલીના આદેશો જારી કર્યા છે. જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી તેમને કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી છે. હાલમાં સુરેન્દ્રનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને સોંપવામાં આવ્યો છે.
1500 કરોડનું કૌભાંડ અને ACB ની કાર્યવાહી
સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA - Non-Agricultural) જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ED ના ઇનપુટના આધારે ACB એ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક (Illegal Network) ચાલી રહ્યું હતું.
ED ના દરોડામાં રોકડ અને 100 જેટલી ફાઈલો મળી
મંગળવારે વહેલી સવારે ED ની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. દરોડા (Raids) દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. વધુમાં, કલેક્ટરના સરકારી બંગલેથી 100 જેટલી શંકાસ્પદ ફાઈલો કબજે કરવામાં આવી હતી, જે ઘરે લઈ જવી નિયમ વિરુદ્ધ છે. ED ને મોબાઈલ ડેટામાંથી નાણાકીય લેવડદેવડના પુરાવા પણ મળ્યા છે.
શંકાસ્પદ બદલી અને કોર્ટ રિમાન્ડ
આ કૌભાંડમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ED ના દરોડાના માત્ર 3 દિવસ પહેલા જ કલેક્ટરે અચાનક NA શાખા વિખેરી નાખી હતી અને ત્યાંના સ્ટાફની બદલી કરી હતી, જે શંકા પ્રેરે છે. બીજી તરફ, ધરપકડ કરાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે 1 જાન્યુઆરી 2026 સુધીના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. બચાવ પક્ષના વકીલે ED ની કામગીરી અને ૨૪ કલાકના સમયગાળા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે ED ના વકીલે રોકડ અને દસ્તાવેજોને ટાંકીને કસ્ટડીની માંગ કરી હતી.





















