દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યા પછી વિમાન ગેટ પર ઊભું હતું

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે (22 જુલાઈ 2025) એર ઇન્ડિયાના એક વિમાનમાં લેન્ડિંગ થતાં જ આગ લાગી ગઈ હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, લેન્ડિંગ પછી હોંગકોંગથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાન (AI 315) માં વિમાનના પાછળના ભાગમાં આવેલા નાના એન્જિન (APU – ઓક્જિલરી પાવર યુનિટ) માં આગ લાગી ગઈ હતી.
બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત
આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યા પછી વિમાન ગેટ પર ઊભું હતું અને મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.
સહાયક પાવર યુનિટ એક નાનું એન્જિન છે જે વિમાનના ઉભા રહેતા સમયે પાવર સપ્લાય અને એર કન્ડીશનીંગ જેવા કાર્યો કરે છે. તે ફ્લાઇટ દરમિયાન મુખ્ય એન્જિનની જેમ કામ કરતું નથી, પરંતુ વિમાનની તૈયારી અને પાર્કિંગ દરમિયાન તે જરૂરી છે.
એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, "આગને કારણે વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ મુસાફરો અને ક્રૂ સભ્યો ત્યાં સુધીમાં ઉતરી ગયા હતા અને બધા સુરક્ષિત છે. વધુ તપાસ માટે વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને નિયમનકારને જાણ કરવામાં આવી છે."
એર ઇન્ડિયાને 9 નોટિસ જાહેર કરવામાં આવી છે
આ ઘટના એવા સમયે બની છે જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે (21 જુલાઈ, 2025) રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં પાંચ સલામતી ઉલ્લંઘન માટે એર ઇન્ડિયાને કુલ 9 કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન (બોઇંગ 787-8) ગયા મહિને ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું, જેમાં 260 લોકો માર્યા ગયા હતા. આ ભયાનક અકસ્માત પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઇનના બોઇંગ 787-8/9 વિમાનની વધારાની તપાસનો આદેશ આપ્યો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, "કુલ 33 વિમાનોમાંથી 31 કાર્યરત વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી આઠમાં નાની ખામીઓ મળી આવી છે. આ વિમાનોમાં રિપેરિંગ પછી તેમને ફરીથી સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી છે."






















