Corona Vaccine: કોરોના વેક્સિન અને અચાનક આવતા હાર્ટ અટેક વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે? રિસર્ચમાં થયો ખુલાસો
Corona Vaccine: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી

Corona Vaccine: આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક થયેલા મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી. દેશમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી, તેમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે યુવાનોમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી.
કર્ણાટકના મુખ્યમંત્રીના નિવેદન પર સરકારની સ્પષ્ટતા
નોંધનિય છે કે, કર્ણાટકના હસન જિલ્લામાં ઘણા યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે, ત્યારબાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના એક નિવેદનમાં હૃદયરોગના હુમલા માટે કોરોના રસીને જવાબદાર ઠેરવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેમના દાવાને ફગાવી દીધો છે. સિદ્ધારમૈયાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના રસીને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી અને પછી રસીનું ઝડપથી વિતરણ કરવામાં આવ્યું હતું, આવી સ્થિતિમાં, શક્ય છે કે કોરોના રસી પણ અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે 'જો કોઈને છાતીમાં દુખાવો થાય, અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તમારી તપાસ કરાવો, આવા કોઇપણ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં.'
સરકારે કહ્યું - અચાનક મૃત્યુના ઘણા કારણો છે
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. સરકારે કહ્યું કે કોરોના રસી સલામત અને અસરકારક છે અને તેના ભાગ્યે જ ગંભીર પરિણામો જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અચાનક મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, આપણી જીવનશૈલી અને દિનચર્યા, કોઈપણ પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારી અને કોરોનાથી સંક્રમિત થયા પછી સમસ્યાઓનો સમાવેશ થાય છે.





















