Gopal Italiaની દિલ્લી પોલીસે અટકાયત કર્યા બાદ છૂટકારો, જાણો ધરપકડ અંગે ઈટાલિયાએ શું કહ્યું..
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયની દિલ્લી પોલીસે અટકાયત કરી છે. દિલ્લી પોલીસ તેમને કારમાં બેસાડીને લઈ ગઈ છે. મહિલા આયોગનો આક્ષેપ છે કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા.

Background
નવી દિલ્લીઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયની દિલ્લી પોલીસે અટકાયત કરી છે. દિલ્લી પોલીસ તેમને કારમાં બેસાડીને લઈ ગઈ છે. મહિલા આયોગનો આક્ષેપ છે કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા.
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે 'રાષ્ટ્રીય મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે' મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી ડરતો નથી. મને જેલમાં નાખો. તેમણે પોલીસને પણ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાના ટ્વિટ પર કેજરીવાલે રિ-ટ્વિટ કર્યું હતું. આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મોટું નિવેદન આપ્યું હતું. રાઘવે કહ્યું કે ગોપાલ ઇટાલિયાના જુના વીડિયો કાઢીને ભાજપ સરકાર દબાવવાના પ્રયાસો કરે છે. દિલ્હીમાં તમામ એજન્સીઓ કોના હાથમાં છે તે બધા જાણે છે. ચૂંટણી નજીક આવતા ખોટી રીતે ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.
ગોપાલ ઇટાલિયાએ ખોટું કર્યું હોય તો ધરપકડ કાર્યવાહી કરવી જોઈએ પણ ખોટી રીતે દબાવવાના પ્રયાસો ન થવા જોઈએ.
ગોપાલ ઈટાલિયાનો થયો છૂટકારો
દિલ્હી પોલીસે આપ ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કર્યા બાદ હવે ઈટાલિયાને છોડવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છૂટ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું પાટીદાર છું એટલા માટે હેરાન કરવામાં આવે છે. મેં કોઈ ગુનો કર્યો જ નથી તો શા માટે મારી અટકાયત કરવામાં આવી. મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યો. હું પાટીદાર સમાજનો યુવાન છું એટલે મારી અટકાયત થઈ. BJP પાર્ટી પાટીદારો સાથે નફરત કરે છે કારણ કે, પાટીદારો ભાજપથી નારાજ છે.
ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહારઃ
ગોપાલ ઇટાલિયાની અટકાયત અંગે આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ નિવેદન આપતાં કહ્યું કે, ભ્રષ્ટ ભાજપે તાનાશાહીની હદ વટાવી છે. મહિલા આયોગ સમક્ષ હાજર થયેલા ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા છે. ગોપાલ ઇટાલિયા પટેલ સમાજમાંથી આવે છે એટલે જેલમાં નાખ્યા છે: ઈશુદાન ગઢવી
ભાજપ પ્રહાર કરતાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે, "ભાજપના તમામ નેતાઓ જેલમાં પૂરવા ષડયંત્રો કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ પટેલ વિરોધી માનસિકતા ધરાવે છે. પરંતુ સરદાર પટેલના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ જેલ ડરાવી નહિ શકે. સી. આર. પાટીલ બિનગુજરાતી હોવાથી ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે. આ ભ્રષ્ટ ભાજપને ન માત્ર પાટીદાર સમાજ પરંતુ તમામ સમાજ આગામી ચૂંટણીમાં જવાબ આપશે"





















