આંધ્રપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ કારણે લોકો મોટી માત્રામાં ઈંધણ ખરીદી રહ્યા છે.
આ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ લેવા પડાપડી, રાજ્યના 421 પંપ બંધ થતાં મુખ્યમંત્રી એક્શનમાં, જાણો લોકોને શું કહ્યું...
અફવાથી ગભરાટ! પેટ્રોલ ડીઝલની ખરીદીમાં અચાનક મોટો ઉછાળો, સીએમ નાયડુએ આપ્યા આદેશ.

- આંધ્રપ્રદેશમાં અફવાઓથી પેટ્રોલ-ડીઝલની અછત, પંપો પર લાંબી કતારો.
- પેનિક બાયિંગને કારણે 421 ફ્યુઅલ પંપ પર સ્ટોક ખલાસ.
- મુખ્યમંત્રીએ અફવાઓ ડામવા અને સ્થિતિ કાબૂમાં લેવા આદેશ.
- પુરવઠો વધાર્યા છતાં લોકોમાં ભય, મોટી માત્રામાં ઈંધણનો સ્ટોક.
Andhra Pradesh fuel shortage: આંધ્રપ્રદેશમાં હાલ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓએ ભારે ગભરાટ ફેલાવી દીધો છે. ઈંધણ ખૂટી જવાની બીકે લોકો રસ્તાઓ પર પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને બેફામ ખરીદી રહ્યા છે. આ અચાનક આવેલી ડિમાન્ડ (પેનિક બાઇંગ) ને કારણે રાજ્યના 421 જેટલા ફ્યુઅલ પંપ પર સ્ટોક ખલાસ થઈ ગયો છે અને તેમને કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી છે. સ્થિતિની ગંભીરતા જોતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તાત્કાલિક પગલાં લેવા અને અફવાઓને ડામવા માટે અધિકારીઓને કડક આદેશ આપ્યા છે.
આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુએ મુખ્ય સચિવ જી. સાઈ પ્રસાદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક ટેલિકોન્ફરન્સ યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે કે લોકો અફવાઓનો શિકાર ન બને અને ગભરાટમાં આવીને ખરીદી ન કરે તે માટે તાત્કાલિક એક એક્શન પ્લાન બનાવો. આ સાથે જ પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા માટે આજ સાંજ સુધીમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવા પણ જણાવાયું છે જેથી લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય.
અધિકારીઓએ મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે રાજ્યમાં કુલ 4510 ઈંધણ આઉટલેટ્સ છે, જેમાંથી હાલ 421 જેટલા પંપ બંધ છે. શનિવારે ડીલરોને 10345 કિલોલિટર પેટ્રોલ અને 14156 કિલોલિટર ડીઝલનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. આમ છતાં, લોકોમાં ડર બેસી ગયો હોવાથી પેટ્રોલ પંપ પર ભારે ભીડ ઉમટી પડી છે. લોકો માત્ર પોતાના વાહનોની ટાંકી જ ફૂલ નથી કરાવી રહ્યા, પણ ડ્રમ અને કેરબા ભરી ભરીને મોટી માત્રામાં ઈંધણનો સ્ટોક કરી રહ્યા છે, જેના કારણે સપ્લાય પર મોટું દબાણ આવ્યું છે.
અચાનક આવેલા આ ઉછાળાને સમજવા માટે આંકડાઓ પર નજર કરીએ તો, સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 6330 કિલોલિટર પેટ્રોલ અને 9048 કિલોલિટર ડીઝલનો વપરાશ થાય છે. પરંતુ આ ગભરાટને કારણે આ આંકડો વધીને 8489 કિલોલિટર પેટ્રોલ અને 10556 કિલોલિટર ડીઝલ સુધી પહોંચી ગયો હતો. માગમાં આટલો મોટો ઉછાળો આવવાથી સ્ટોક ઝડપથી ખલાસ થઈ રહ્યો છે. સપ્લાય વધારવામાં આવ્યો હોવા છતાં, લોકોમાં રહેલા ડરને કારણે પંપ પર લાંબી કતારો યથાવત છે.
Frequently Asked Questions
આંધ્રપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ શા માટે ફેલાઈ છે?
કેટલા પેટ્રોલ પંપ હાલ બંધ છે અને તેનું કારણ શું છે?
રાજ્યના 421 જેટલા ફ્યુઅલ પંપ પર સ્ટોક ખલાસ થઈ જવાને કારણે તેમને કામચલાઉ ધોરણે બંધ કરવા પડ્યા છે. આ અચાનક આવેલી ઈંધણની ઊંચી માંગને કારણે થયું છે.
સરકાર આ પરિસ્થિતિને પહોંચી વળવા શું પગલાં લઈ રહી છે?
મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા અને અફવાઓને ડામવા માટે કડક આદેશ આપ્યા છે. લોકો ગભરાટમાં આવીને ખરીદી ન કરે તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.
સામાન્ય દિવસોની સરખામણીમાં ઈંધણનો વપરાશ કેટલો વધ્યો છે?
ગભરાટને કારણે પેટ્રોલનો વપરાશ 6330 કિલોલિટરથી વધીને 8489 કિલોલિટર અને ડીઝલનો વપરાશ 9048 કિલોલિટરથી વધીને 10556 કિલોલિટર સુધી પહોંચ્યો છે.





















