કોલકાતામાં એક ચૂંટણી રેલી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે કથિત રીતે અપમાનજનક શબ્દ વાપરવા બદલ NCSC એ મમતા બેનર્જીને નોટિસ ફટકારી છે.
મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ
ચૂંટણી રેલીમાં SC સમુદાયના અપમાન બદલ આયોગે મમતા બેનર્જી પાસે 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો.

- મમતા બેનર્જીએ SC સમુદાય માટે અપમાનજનક શબ્દ વાપર્યો.
- NCSC એ મુખ્યમંત્રી પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો.
- ભાજપે મમતા પર SC/ST એક્ટ હેઠળ ગુનો કરવાનો આરોપ લગાવ્યો.
- આ મુદ્દો પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યો.
Mamata Banerjee SC ST Notice: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા ચૂંટણી વિવાદમાં સપડાયા છે. કોલકાતામાં એક ચૂંટણી રેલી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે કથિત રીતે અપમાનજનક શબ્દ વાપરવા બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ તેમની સામે લાલ આંખ કરી છે. આયોગે આ મામલે કડક વલણ અપનાવતા પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, ભાજપે પણ આ મુદ્દે મમતા બેનર્જીને ઘેરતા આ કૃત્યને SC/ST એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો ગણાવ્યો છે, જેના કારણે બંગાળના ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, ગત 26 એપ્રિલના રોજ 'કોલકાતા ટીવી' પર એક વીડિયો પ્રસારિત થયો હતો. આ વીડિયો 23 એપ્રિલના રોજ કોલકાતાના ચૌરંગી વિસ્તારમાં યોજાયેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની એક ચૂંટણી રેલીનો છે. આરોપ છે કે, જ્યારે મમતા બેનર્જી પોતાની સરકારના કામો ગણાવી રહ્યા હતા, ત્યારે તેમણે જનબજાર વિસ્તારના સંદર્ભમાં SC સમુદાય માટે એક એવા શબ્દનો પ્રયોગ કર્યો જે અપમાનજનક માનવામાં આવે છે. આ વીડિયોની જાણ થતાં જ બંધારણીય સંસ્થા NCSC એ તેની જાતે જ નોંધ (સુઓમોટો) લીધી હતી.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આયોગે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નોટિસ ફટકારી છે. આયોગે આદેશ આપ્યો છે કે નોટિસ મળ્યાના 3 દિવસની અંદર આ અંગેનો વિગતવાર રિપોર્ટ જમા કરાવવામાં આવે. આ સાથે આયોગે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો બંધારણની કલમ 338 હેઠળ મળેલી સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને અધિકારીઓને રૂબરૂ અથવા પ્રતિનિધિ મારફતે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે.
આ અંગે વાત કરતા NCSC ના અધ્યક્ષ કિશોર મકવાણાએ સ્પષ્ટ કર્યું હતું કે, આયોગ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારો અને સન્માનના રક્ષણ માટે પૂરી રીતે કટિબદ્ધ છે અને કોઈપણ સ્તરે જાતિ આધારિત અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પશ્ચિમ બંગાળમાં SC સમુદાય સામે વધી રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી અને મુખ્યમંત્રીની કથિત ટિપ્પણીને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આયોગના એક સત્તાવાર નિવેદન મુજબ, આ ટિપ્પણી માત્ર વાંધાજનક જ નથી પરંતુ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(s) હેઠળ એક સજાપાત્ર ગુનો પણ બને છે.
આ ઘટના બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ તેજ થઈ ગયા છે. ભાજપે આ મુદ્દે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા આરોપ લગાવ્યો કે, ગરીબો અને વંચિતો માટે કામ કરવાનો દાવો કરતા મમતા બેનર્જીએ જ તે સમુદાયનું અપમાન કર્યું છે. તેમણે આને SC/ST એક્ટની કલમ 3(1)(x) હેઠળ ગુનો ગણાવીને TMC ને દલિત વિરોધી અને બંધારણ વિરોધી પાર્ટી ગણાવી છે. હાલ આ નોટિસ અને રાજકીય પ્રતિક્રિયાઓ બંગાળની ચૂંટણીમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયા છે.
Frequently Asked Questions
મમતા બેનર્જીને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) તરફથી કયા મુદ્દે નોટિસ મળી છે?
NCSC એ આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શું માંગ્યું છે?
NCSC એ પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આ અંગેનો વિગતવાર રિપોર્ટ 3 દિવસની અંદર માંગ્યો છે.
જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે તો NCSC શું કાર્યવાહી કરશે?
જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો NCSC બંધારણની કલમ 338 હેઠળ મળેલી સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને અધિકારીઓને હાજર રહેવા માટે સમન્સ પાઠવી શકે છે.
ભાજપે મમતા બેનર્જી પર કયો આરોપ લગાવ્યો છે?
ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીએ SC સમુદાયનું અપમાન કર્યું છે અને આ SC/ST એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો છે.





















