'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસનો હલ્લાબોલ
રાજકોટ-જેતપુર હાઇવે મુદે જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા જોરદાર વિરોધ પ્રરદર્શન કરવામાં આવ્યું હતું. પહેલા ‘રોડ પછી ટોલ'ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

રાજકોટ : રાજકોટ-જેતપુર હાઇવે મુદે જનહિત હાઇવે હકક આંદોલન સમિતિ દ્વારા જોરદાર વિરોધ પ્રરદર્શન કરવામાં આવ્યું હતું. પહેલા ‘રોડ પછી ટોલ'ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કૉંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઇ, પાલભાઈ આંબલીયા અને રાજકોટ શહેર અને જિલ્લાના કૉંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કલેકટર કચેરીની અંદર રામધૂન બોલાવવામાં આવી
હાઇવે આંદોલન સમિતિએ કલેકટરને રજૂઆત કરી હતી કે પહેલા ટોલ લેવાનું બંધ કરો. ડાઇવર્ઝન પણ 4 લાઇન વાળો આપો. કલેકટરે નેશનલ હાઇવે-પોલીસની મીટીંગ બોલાવવાની ખાત્રી આપી હતી. મીટીંગ બોલાવો ત્યારે અમારા આગેવાનોને પણ બોલાવો. કલેકટર કચેરીની અંદર રામધૂન બોલાવવામાં આવી હતી.
કેટલાક લોકો માથા પર પાટા બાંધીને આવ્યા
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પણ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અનોખો વિરોધ કર્યો હતો. કેટલાક લોકો માથા પર પાટા બાંધીને આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભારે સૂત્રોચાર કર્યા હતા કે રોડ નહીં તો ટોલ નહીં.
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ‘રોડ નહીં તો ટોલ નહીં’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના આગેવાનોએ લોકોને પડી રહેલી હાલાકી અંગે વાત કરી હતી. કૉંગ્રેસના આગેવાનો દ્વારા માથા પર અને હાથમાં પાટા બાંધીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, બિસ્માર રસ્તાના કારણે અવારનવાર નેશનલ હાઇવે પર અકસ્માત થાય છે.
છેલ્લા ઘણા સમયથી આ રોડનું કામચાલી રહ્યું છે
ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે 6 લેન કન્વર્ટ કરવાની કામગીરી 1.5 વર્ષથી ચાલી રહી છે. આજ દિવસ સુધી સિક્સલેન બનાવવાની કામગીરી પૂર્ણ નથી થઈ. આ કારણે રાજકોટથી જુનાગઢ તેમજ રાજકોટથી પોરબંદર તરફ જનારા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રાજકોટ જેતપુર વચ્ચે માત્ર 60 કિમીના અંતરમાં બે જેટલા ટોલ પ્લાઝા પણ આવે છે. આમ લોકો વાર્ષિક કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા હોવા છતાં રાજકોટ જેતપુર હાઇવે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.





















