Pahalgam Terror Attack:'ISIએ આપ્યો આદેશ, બેતાબ ઘાટીમાં છૂપાવ્યા હથિયારો', NIAની રિપોર્ટમાં ખુલાસો
Pahalgam Terror Attack: NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસરન ઘાટીમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા હાથ ધરવામાં આવેલા આ હુમલાનો પ્રાથમિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
NIAના શરૂઆતના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મુજબ આ હુમલો પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા, ISI અને પાકિસ્તાની સેનાના સહયોગથી કરવામાં આવ્યો હતો. આ હુમલાનું આયોજન ISI ના ઈશારે પાકિસ્તાનમાં લશ્કરના મુખ્યાલયમાં કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી દિશા નિર્દશ અને ફંડિંગ ભંડોળ મળી રહ્યું હતું.
હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ
પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ POK સાથે જોડાયેલા હતા. મુખ્ય આતંકવાદીઓની ઓળખ હાશિમ મુસા અને અલી ઉર્ફે તલ્હા ભાઈ તરીકે થઈ છે. બંને આતંકવાદી પાકિસ્તાનના નાગરિક છે અને લશ્કર-એ-તૌયબા સાથે સંકળાયેલા છે. બંનેને કાશ્મીરમાં રહેતા આદિલ ઠોકર દ્વારા મદદ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં OGWનો મોટો ખુલાસો
પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવામાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) ની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ સ્થાનિક લોકો છે જે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ, માહિતી, માર્ગદર્શન અને છૂપાવવા માટે જગ્યા આપે છે. પહલગામ તપાસમાં 150 થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. OGW ના સંપર્કો અને સહયોગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની સામે વહીવટી અને કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ટેકનિકલ તપાસ અને પુરાવા
તપાસ ટીમે બૈસરન ખીણમાં હુમલાની ઘટનાનું 3D મેપિંગ અને ઘટનાનું રિક્રિએશન કર્યું છે. આનાથી બેતાબ ખીણમાં શસ્ત્રો છૂપાયેલા હોવાનું જાણવામાં મદદ મળી છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વપરાયેલા કારતુસનો પણ સમાવેશ થતો હતો. તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે. NIAના ડાયરેક્ટર જનરલ (DG) ના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. જેના આધારે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા યુએન અને એફએટીએફ જેવા સંગઠનો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.





















