સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં ACB દ્વારા 6 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતની તપાસ થશે. જાણો લાંચના હિસ્સાનું ગણિત.

Surendranagar 1500 Crore Land Scam: સુરેન્દ્રનગરમાં થયેલા કથિત 1500 કરોડના જમીન કૌભાંડમાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 4 જાન્યુઆરીએ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ (Rajendra Patel) ને સસ્પેન્ડ કર્યા બાદ, આજે 5 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારે આ કેસમાં કડક વલણ અપનાવ્યું છે. ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની તપાસ માટે ACB (Anti-Corruption Bureau) દ્વારા ઉચ્ચ કક્ષાની S.I.T. (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે.
અધિક નિયામક બિપિન અહિરે ના નેતૃત્વમાં રચાયેલી 6 સભ્યોની આ ટીમ હવે કૌભાંડના મૂળ સુધી પહોંચશે. ED ની તપાસમાં લાંચની રકમના જે ટકાવારીના આંકડા સામે આવ્યા છે તે રાજ્યના વહીવટી તંત્રને હચમચાવી નાખે તેવા છે.
SIT ની રચના: કોણ કરશે તપાસ?
ACB એ આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ માટે જે સ્પેશિયલ ટીમ બનાવી છે, તેમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થાય છે:
-
બિપિન અહિરે – અધિક નિયામક, ACB (ટીમ લીડર)
-
બી.જે.પંડ્યા – નાયબ નિયામક, વહીવટ ACB, અમદાવાદ
-
કે.એચ.ગોહિલ – ઈ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ
-
આર.બી.દેસાઈ – મદદનીશ નિયામક, ACB મુખ્ય મથક
-
ડી.એન.પટેલ – પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર ACB
-
એમ.ડી.પટેલ – પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર ACB (સાથે મોરબી ACB ના પી.આઈ. પી.એ.દેકાવાડીયા પણ સામેલ)
SIT શું તપાસ કરશે? ACB અધિકારીઓના જણાવ્યા મુજબ, SIT મુખ્યત્વે NA (બિનખેતી) પરવાનગીઓમાં થયેલી ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ અને અધિકારીઓની આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરશે. મહેસૂલી રેકોર્ડ અને બેંક વ્યવહારોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે.
'લાંચનો 50% હિસ્સો કલેક્ટરને': ED સામે ચોંકાવનારા ખુલાસા
આ કેસમાં ED (Enforcement Directorate) ની એન્ટ્રી બાદ જે વિગતો બહાર આવી છે તે સ્ફોટક છે. 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ના ઘરે દરોડા દરમિયાન બેડમાં છુપાવેલી ₹67.50 લાખ રોકડ મળી આવી હતી.
ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયૂર ગોહિલ અને પી.એ. જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ વટાણા વેરી દેતા 'સિસ્ટમ'નો પર્દાફાશ કર્યો હતો. તેમના નિવેદન મુજબ લાંચની રકમનું વિતરણ નીચે મુજબ થતું હતું:
-
50% હિસ્સો: જિલ્લા કલેક્ટર (ડો. રાજેન્દ્ર પટેલ)
-
25% હિસ્સો: રેસિડન્ટ એડિશનલ કલેક્ટર (આર.કે. ઓઝા)
-
10% હિસ્સો: મામલતદાર (મયૂર દવે)
-
10% હિસ્સો: નાયબ મામલતદાર (ચંદ્રસિંહ મોરી - પોતે)
-
5% હિસ્સો: ક્લાર્ક (મયૂરસિંહ ગોહિલ)
ચંદ્રસિંહ મોરી અને પીએ જયરાજસિંહ ઝાલાએ કબૂલ્યું છે કે આ તમામ 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ રાખતા હતા અને કલેક્ટર સુધી પૈસા પહોંચાડતા હતા.
તત્કાલીન મુખ્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ થશે
SIT દ્વારા નીચે મુજબના મુખ્ય આરોપીઓ સામે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે:
-
ડો. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ: તત્કાલીન કલેક્ટર, સુરેન્દ્રનગર
-
ચંદ્રસિંહ મોરી: નાયબ મામલતદાર
-
મયુર ગોહિલ: ક્લાર્ક, જિલ્લા કચેરી
-
જયરાજસિંહ ઝાલા: પી.એ. ટુ કલેક્ટર
4 વર્ષમાં ચોથા કલેક્ટર સસ્પેન્ડ: ગુજરાતમાં IAS સામે કાર્યવાહી
સુરેન્દ્રનગરની આ ઘટનાએ સાબિત કર્યું છે કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મામલે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. છેલ્લા 4 વર્ષમાં ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ થનારા રાજેન્દ્ર પટેલ ચોથા કલેક્ટર છે. અગાઉ ડી.એસ.ગઢવી, આયુષ ઓક અને કે.રાજેશ જેવા અધિકારીઓ સામે પણ જમીન કૌભાંડ મામલે કાર્યવાહી થઈ ચૂકી છે.
SIT નો રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધુ મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા નકારી શકાય નહીં.





















