બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
Jayraj Ahir Controversy: ભાવનગરના બગદાણામાં સેવક પર હુમલા બાદ વિવાદ વકર્યો. કોળી સમાજના નેતાઓ CM ને મળ્યા બાદ 5 અધિકારીઓની SIT રચાઈ. માયાભાઈ આહીરના પુત્ર જયરાજનું નામ ચર્ચામાં. જાણો અપડેટ.

Mayabhai Ahir Son: ભાવનગર જિલ્લાના મહુવા સ્થિત પ્રખ્યાત બગદાણા ગુરુ આશ્રમના સેવક પર થયેલા જીવલેણ હુમલા (Assault) ની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિશેષ તપાસ ટીમ (Special Investigation Team SIT) ની રચના કરવામાં આવી છે. પોલીસના 5 ઉચ્ચ અધિકારીઓની બનેલી આ કમિટી હવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર 8 જેટલા શખ્સો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવવાનો ગંભીર આરોપ (Allegation) લાગી રહ્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મામલો હવે સામાજિક અને રાજકીય સ્તરે પણ ગરમાયો છે. ભોગ બનનાર યુવક કોળી સમાજનો હોવાથી સમાજના આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, હીરા સોલંકી અને નિમુબેન બાંભણિયા સહિતના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ બેઠક (Meeting) યોજી હતી. આ બેઠક પૂર્વે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી અને ન્યાયની ખાતરી આપવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને AAP ના કોળી સમાજના અગ્રણીઓ પણ પક્ષના ભેદભાવ ભૂલીને એકસાથે જોવા મળ્યા હતા.
કાયદાકીય કાર્યવાહીની વાત કરીએ તો, નવનીત બાલધિયા પર થયેલા હુમલાને પોલીસે ગંભીરતાથી લીધો છે. અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદ (Police Complaint) માં હવે સુધારો કરીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 (જે અગાઉના IPC મુજબ 307 હત્યાનો પ્રયાસ ગણાય છે) નો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત નવનીત બાલધિયા મહુવાની હનુમંત હોસ્પિટલ (Hospital) માં સારવાર હેઠળ છે. પરિસ્થિતિની ગંભીરતા અને તંગદિલીને જોતા પોલીસે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને. એક તરફ ભાજપના નેતાઓ આરોપીઓને કડક સજા અપાવવાની ખાતરી આપી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.





















