ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા બાદ રોહિત-વિરાટ મેદાનમાં જ ગરબા રમ્યા, આવું સેલિબ્રેશન ક્યારેય નહીં જોયું હોય
જીતની ખુશીમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વિકેટ હાથમાં લઈને દાંડિયા રાસ કર્યો.

Virat Rohit Dandiya celebration: ભારતીય સ્પિનરોની શાનદાર બોલિંગની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ જીતથી સમગ્ર દેશમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પરંતુ જીત બાદ ક્રિકેટના મેદાન પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માનું મૈત્રીપૂર્ણ અને રમુજી વલણ જોવા મળ્યું હતું.
ખરેખર, જીત્યા બાદ આ બંને ખેલાડીઓ મેદાન પર હાથમાં વિકેટ લઈને દાંડિયા રમતા જોવા મળ્યા હતા. આ અણધાર્યું સેલિબ્રેશન જોઈને દર્શકો અને અન્ય ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા. રોહિત અને વિરાટને દાંડિયા કરતા જોઈને એ સ્પષ્ટ હતું કે તેઓ આ જીતની ખુશીમાં ડૂબી ગયા હતા અને તેને ખાસ રીતે ઉજવવા માગતા હતા.
મેચ જીત્યા બાદ ખેલાડીઓ વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આ દાંડિયા સેલિબ્રેશન ખરેખર અનોખું અને યાદગાર હતું. ક્રિકેટના મેદાન પર આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે, અને આ જ કારણે આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ જોડીના મૈત્રીપૂર્ણ સંબંધો અને રમૂજની ભાવનાના વખાણ કરી રહ્યા છે.
virat kohli and rohit sharma playing dandiya after winning champions trophy was not in my 2025 bucket list 😭 pic.twitter.com/dZsRRCU8Mt
— saif (@nightchanges) March 9, 2025
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની કેમિયો ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ જીત સાથે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે અને સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ બે વખત આ ટ્રોફી જીતી છે. ભારતે અગાઉ 2002માં શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરી હતી, અને 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત ત્રીજી વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 251 રન બનાવ્યા હતા. કિવિઝ તરફથી ડેરિલ મિશેલે 63 અને માઈકલ બ્રેસવેલે 53 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં 252 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગિલે જોરદાર શરૂઆત અપાવી હતી અને 105 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 76 અને શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ અંતમાં 18 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે પણ 34 રનનું યોગદાન આપ્યું હતું.
આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામેનો 25 વર્ષ જૂનો બદલો પણ પૂરો કર્યો છે. વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. તે મેચમાં ક્રિસ કેર્ન્સની સદી ભારતના સૌરવ ગાંગુલીની સદી પર ભારે પડી હતી. આ વખતે દુબઈમાં રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ચોગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.




















