(Source: Poll of Polls)
પહેલગામ હુમલા પછી શું એશિયા કપ ૨૦૨૫માં ભારત-પાકિસ્તાન ટકરાશે? આ દિવસે રમાવાની છે મેચ
દ્વિપક્ષીય શ્રેણી નહીં, પણ ICC અને ACC ઇવેન્ટ્સમાં રમવા બંધાયેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ ACCના અધ્યક્ષ હોવાથી મુશ્કેલી.

IND vs PAK Asia Cup 2025: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય અને સૈન્ય સ્તરે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભારતે આ હુમલાના જવાબમાં પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે અને અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. આ તણાવની સીધી અસર બંને દેશોના સંબંધો પર પડી રહી છે, અને તેના કારણે ક્રિકેટ જગતમાં પણ ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
અગાઉ, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ના આયોજન દરમિયાન પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટને લઈને ઘણો હંગામો થયો હતો. જેના પરિણામે, ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનની જગ્યાએ દુબઈમાં યોજાઈ હતી. હવે ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રમાનારા એશિયા કપ ૨૦૨૫માં શું ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે?
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ થશે કે નહીં? BCCIનું વલણ:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી રમવા અંગેનું વલણ સ્પષ્ટ છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તાજેતરમાં આ અંગે વાત કરતા કહ્યું હતું કે, "અમે ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં રમીશું. અમારી સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તે કરીશું. સરકારના વલણને કારણે અમે પાકિસ્તાન સાથે સીરિઝ નહીં રમીશું."
જોકે, તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "જ્યાં સુધી ICC ઇવેન્ટ્સ (જેમ કે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી) ની વાત છે, ICCના સભ્ય હોવાને કારણે અમે પાકિસ્તાન સાથે રમવા માટે બંધાયેલા છીએ."
એશિયા કપ ૨૦૨૫ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાવાનો છે, પરંતુ હજુ સુધી તેના યજમાન દેશનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. મહત્વપૂર્ણ બાબત એ છે કે એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કે BCCI દ્વારા નહીં, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન ACCના સભ્ય હોવાના કારણે તેમને એકબીજા સાથે રમવાની ફરજ પડી શકે છે, જે ICC ઇવેન્ટ્સ જેવું જ છે.
શું ભારત એશિયા કપમાંથી પાકિસ્તાનને હટાવી શકશે?
જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું આયોજન પાકિસ્તાનમાં હતું, ત્યારે BCCIના કડક વલણને કારણે એવી અટકળો ચાલી રહી હતી કે ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવશે અથવા તો પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી જ બાકાત રાખવામાં આવશે. જોકે, BCCIના પ્રયાસો છતાં પાકિસ્તાન યજમાન તરીકે જ રહ્યું હતું અને માત્ર ભારતની મેચો દુબઈમાં ખસેડવામાં આવી હતી.
હવે સવાલ એ છે કે શું BCCIના વલણને કારણે એશિયા કપમાં પણ પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકાય છે? આ મામલે એક મહત્વપૂર્ણ પરિબળ એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષનું પદ હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વર્તમાન અધ્યક્ષ મોહસિન રઝા નકવી પાસે છે. ACC એક અલગ કાઉન્સિલ હોવા છતાં, તેના અધ્યક્ષ તરીકે મોહસિન નકવીના પ્રભાવને કારણે ભારત માટે દબાણ લાવીને પાકિસ્તાનને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરવું શક્ય નહીં બને તેવી શક્યતા છે.




















