IPL 2025 પછી પણ નિવૃતિ જાહેર નહી કરે ધોની? MI વિરુદ્ધ હાર બાદ આપ્યું મોટું નિવેદન
મેચ પછી ચેન્નઇના કેપ્ટને કહ્યું કે અમારી ટીમનું પ્રદર્શન એકદમ સરેરાશ હતું. તેણે કહ્યું કે મને ખબર હતી કે મેચના બીજા હાફમાં થોડો ડ્યૂ પડશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે જીતની હેટ્રિક નોંધાવી હતી. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ એટલી જ મેચમાં માત્ર 2 જીત સાથે ટેબલમાં સૌથી નીચે છે. ચેન્નઈ સામેની જીતનો હીરો મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર બેટ્સમેન રોહિત શર્મા હતો, જેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેમને સૂર્યકુમાર યાદવે સારો સાથ આપ્યો હતો. મેચ દરમિયાન ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલીક ચોંકાવનારી વાતો કહી, જેનાથી બધા ચોંકી ગયા હતા.
આગામી સીઝનમાં મજબૂત રીતે પાછા આવીશ
મેચ પછી ચેન્નઇના કેપ્ટને કહ્યું કે અમારી ટીમનું પ્રદર્શન એકદમ સરેરાશ હતું. તેણે કહ્યું કે મને ખબર હતી કે મેચના બીજા હાફમાં થોડો ડ્યૂ પડશે. જસપ્રીત બુમરાહ વિશ્વના શ્રેષ્ઠ ડેથ બોલરોમાંના એક છે અને મુંબઈ ઈન્ડિયન્સે તેમની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી હતી, જેના કારણે અમે ઘણા રન કરી શક્યા નહીં. ધોનીએ કહ્યું કે આયુષ મ્હાત્રેએ સારી બેટિંગ કરી અને પોતાના શોટ્સ સારી રીતે પસંદ કર્યા. અમને ખબર હતી કે આ પીચ પર રન બનાવવા સરળ નહીં હોય. જો તમે શરૂઆતના ઓવરોમાં ઘણા બધા રન આપો છો તો તે મુશ્કેલ બની જાય છે.
સીએસકેના કેપ્ટને કહ્યું કે આપણે એ સમજવાની જરૂર છે કે આપણે ફક્ત સારું ક્રિકેટ રમવાને કારણે જ સફળ છીએ. આપણે વધારે પડતા લાગણીશીલ ન બનવું જોઈએ. અમારે એક સમયે એક મેચ પર ધ્યાન આપવાની જરૂર છે અને જો આપણે પ્લેઓફમાં ન પહોંચીએ તો અમારે આગામી સીઝન માટે અમારી રણનીતિ વિશે વિચારવું પડશે. આગામી સીઝન વિશે વાત કરીને ધોનીએ સંકેત આપ્યો છે કે તે IPL 2026માં રમી શકે છે.
મેચ પછી ધોનીએ કહ્યું કે અમે સરેરાશ સ્કોર કરતા થોડા ઓછા રન બનાવ્યા. મુંબઈએ તેમની ડેથ બોલિંગ વહેલી શરૂ કરી. આપણે પણ સ્લોગ શોટ વહેલા રમવા જોઈતા હતા. તેઓએ સ્પિન બોલિંગ સારી રીતે રમી અને અમે ક્યારેય લડાયક સ્કોર નોંધાવ્યો નહોતો. જો તમે છ ઓવરમાં ઘણા બધા રન આપો છો તો તેનો અર્થ એ નથી કે બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો છે. આ હાર સાથે ચેન્નઇની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે.




















