Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજ રોજ અમદાવાદમાં નીકળી. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો. પહિંદ વિધિ કરાવી અને પ્રથમ રથ ભગવાન જગન્નાથનો ખેંચી રથયાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું. ‘નંદીઘોષ’માં ભગવાન જગન્નાથજી, ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રામાં સૌથી આગળ 18 શણગારેલા ગજરાજ, વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંદેશ આપતી 101 થીમ આધારિત ટ્રકો, કરતબો દર્શાવતા 30 અખાડા, ભજન કીર્તન કરતી 18 ભજન મંડળીઓ અને 3 મ્યુઝિક બેન્ડવાજા સામેલ થયા હતા.ભક્તો માટે 45,000 કિલો મગ અને 500 કિલો જાંબુના પવિત્ર પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં ભક્તો જય જગન્નાથના નાદ સાથે રથયાત્રામાં જોડાયા હતા.





















