Sabarmati River Alert : ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે
ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના કારણે મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, તો વળી ક્યાંક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાના કારણે ધરોઇ ડેમની જળસપાટી વધી છે, આવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.
ગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદ સતત ચાલુ રહેવાથી સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. મહેસાણાથી લઇને અમદાવાદ સુધી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ છે. ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હાશકારો અનુભવાયો છે. મહત્વનું છે કે, ગઇકાલે ધરોઇ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો, જેના કારણે 4 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. હાલમાં પણ ડેમના કેચપીટ અને નદીના પટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી 60 હજાર કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે, આ ઉપરાંત વાસણા બેરેજના 24 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે, અને 31 હજાર ક્યૂસેક પાણી વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે.



















