Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આરોપ અને હોબાળાનું કેન્દ્ર બની છે. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારજનોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો અને મૃતક બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે થયું છે. એટલું જ નહીં પરિવારે એક દિવસમાં 4 બાળકોના મોત થયાનો પણ આરોપ લગાવ્યો... વધુમાં કહ્યું કે અહીં ડોક્ટરો સમયસર આવતા નથી અને દર્દીઓ કે સગાને વારંવાર 'ડૉક્ટર હમણાં આવશે' તેવું કહીને રાહ જોવડાવવામાં આવે છે. તો બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડો. પ્રિયંકા જોગીયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને બંને કેસની તબીબી વિગતો રજૂ કરીને ખુલાસો કર્યો હતો.

















