Budget 2026: હવે જેલની સજા નહીં! બજેટમાં આ કડક નિયમોમાં થયો ફેરફાર, માત્ર દંડ ભરીને ઉકેલાશે મામલો
કરદાતાઓને મોટી રાહત. નવા કાયદા મુજબ હવે નાની ટેકનિકલ ભૂલો માટે જેલ નહીં થાય. વિદેશી સંપત્તિ અને TDS ના નિયમો હળવા કરાયા છે. નવો કાયદો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે.

Budget 2026 Income Tax Updates: નવી દિલ્હીથી કરદાતાઓ માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય બજેટ 2026 (Budget 2026) ભલે મધ્યમ વર્ગ માટે ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ઘટાડો લાવ્યું ન હોય, પરંતુ સરકારે જે 'સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ' (માળખાગત સુધારા) કર્યા છે તેનાથી લાખો કરદાતાઓને શાંતિ મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કર વ્યવસ્થાને 'સજાલક્ષી' ને બદલે 'સુધારાલક્ષી' બનાવી છે. હવે ઇન્કમ ટેક્સમાં નાની-મોટી ભૂલો માટે જેલના સળિયા ગણવા નહીં પડે, પરંતુ માત્ર દંડ ભરીને મામલો થાળે પાડી શકાશે.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે 1 April, 2026 થી દેશમાં 'નવો આવકવેરા કાયદો 2025' (New Income Tax Act 2025) અમલમાં આવશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લિટીગેશન (કોર્ટ કેસ) ઘટાડવાનો અને સિસ્ટમને સરળ બનાવવાનો છે. સરકાર હવે કરદાતાઓને ડરાવવાને બદલે કાયદાનું પાલન કરાવવા પર વધુ ભાર મૂકી રહી છે, જે એક મોટો બદલાવ છે.
બજેટમાં સૌથી મોટી રાહત 'બ્લેક મની એક્ટ' હેઠળ આપવામાં આવી છે. નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ વિદેશી સંપત્તિ (Foreign Assets) જાહેર કરવાનું ચૂકી જાય, પરંતુ તેની કિંમત ₹20 Lakh થી ઓછી હોય (બિન-સ્થાવર મિલકત), તો હવે તેની સામે કાનૂની કાર્યવાહી કે જેલની સજા થશે નહીં. શરત એટલી કે તે આવક પર ટેક્સ ભરેલો હોવો જોઈએ. અગાઉ નાની રકમની ભૂલ માટે પણ કડક સજાની જોગવાઈ હતી, જે હવે દૂર થઈ છે.
વિદેશમાં વસતા ભારતીયો (NRIs) માટે ભારતમાં મિલકત વેચવી હવે સરળ બનશે. પહેલા મિલકત વેચતી વખતે TDS જમા કરાવવા માટે NRI એ અલગથી 'TAN નંબર' લેવો પડતો હતો, જે એક જટિલ પ્રક્રિયા હતી. પરંતુ હવે TAN ની જરૂર નથી. મિલકત ખરીદનાર ભારતીય નાગરિક પોતાના 'PAN કાર્ડ' દ્વારા જ TDS કાપીને જમા કરાવી શકશે. આનાથી પ્રોસેસ ખૂબ ઝડપી બનશે.
ઘણીવાર વેપારીઓથી એકાઉન્ટ ઓડિટ (Audit) કરાવવામાં મોડું થાય અથવા દસ્તાવેજોમાં કોઈ ટેકનિકલ ભૂલ રહી જાય તો ભારે દંડ અને સજા થતી હતી. હવે સરકારે વલણ બદલ્યું છે. આવી ભૂલોને હવે ગંભીર 'ગુનો' ગણવાને બદલે માત્ર 'વહીવટી ક્ષતિ' ગણવામાં આવશે અને તેના માટે મામૂલી ફી કે દંડ વસૂલાશે.
વળી, જો કોઈ કેસમાં કરદાતાને અન્યાય લાગે અને અપીલ કરવી હોય તો પહેલા ટેક્સની 20% રકમ ડિપોઝિટ તરીકે ભરવી પડતી હતી. આ રકમ ઘટાડીને હવે 10% કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે દંડની રકમ પર હવે વ્યાજ પણ નહીં લાગે, જેથી કરદાતાઓ પરનું આર્થિક ભારણ ઘટશે.
ટૂંકમાં, સરકારનો હેતુ સ્પષ્ટ છે કે ટેકનિકલ ભૂલો માટે લોકોને કોર્ટના ધક્કા ન ખાવા પડે. આ સુધારાઓથી કરદાતાઓ અને ટેક્સ વિભાગ વચ્ચેનો વિશ્વાસ વધશે અને બિનજરૂરી કાનૂની વિવાદોનો અંત આવશે.






















