રાજ્ય સરકારે 'આર્થિક પુનઃવસન સહાય પેકેજ' જાહેર કર્યું છે. આમાં 7,500 થી 1 લાખ રૂપિયા સુધીની સીધી રોકડ સહાય અને મોટી દુકાનો માટે 10 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાયનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
સુરતની જેમ જ અમદાવાદમાં લારી-ગલ્લાથી લઈને પાકી દુકાન ધરાવતા વેપારીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની રોકડ સહાય અને 10 લાખ સુધીની વ્યાજ સહાય.

- અમદાવાદના વરસાદગ્રસ્ત વેપારીઓ માટે સરકારે આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું.
- લારી-ગલ્લાથી પાકી દુકાનોને ૭,૫૦૦ થી ૧ લાખ રોકડ સહાય મળશે.
- મોટી દુકાનોને ૩ વર્ષ સુધી ૧૦ લાખની વ્યાજ સહાય અપાશે.
- સહાય માટે પારદર્શક સર્વે, એક જ વિકલ્પ, સમયમર્યાદા પાળવી.
ahmedabad rain trader relief package: તાજેતરમાં અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં પડેલા ભારે વરસાદે વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ મુશ્કેલીમાંથી વેપારીઓને બહાર લાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરતની તર્જ પર હવે અમદાવાદના અસરગ્રસ્ત નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને દુકાનદારો માટે રાજ્ય સરકારે 'આર્થિક પુનઃવસન સહાય પેકેજ'ની જાહેરાત કરી છે. આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્તોને 7,500 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સીધી રોકડ સહાય અને મોટી દુકાનોના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનું આર્થિક હૃદય ગણાતા અમદાવાદના વેપારીઓને ફરીથી બેઠા કરવા અને તેમનો ધંધો-રોજગાર ધબકતો કરવા સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. વરસાદના કારણે જે નાના માણસો અને સ્વરોજગાર મેળવતા નાગરિકોને આર્થિક ફટકો પડ્યો છે, તેમની પડખે સરકાર ઊભી છે. આ જ હેતુથી લારી/રેકડી, નાની-મોટી કેબિન અને પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. જ્યારે છેલ્લા ત્રિમાસિક ગાળાનું GST રિટર્ન ભર્યું હોય તેવી મોટી પાકી દુકાનો માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન અને વ્યાજ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે.
સહાય મેળવવા માટેના મહત્વના નિયમો અને શરતો:
પારદર્શક સરવે: અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સરવે કરી, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી જેવા પુરાવાઓને ધ્યાનમાં લઈને જ સહાય ચૂકવવામાં આવશે.
એક જ વિકલ્પ મળશે: વેપારીઓ ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય - આ બેમાંથી માત્ર કોઈ એક જ વિકલ્પનો લાભ લઈ શકશે.
અરજીની સમયમર્યાદા: જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભર્યું છે અને વ્યાજ સહાય મેળવવા માંગે છે, તેમણે આ પેકેજનો ઠરાવ થયાની તારીખથી 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.
કોને લાભ નહીં મળે? જે અસરગ્રસ્ત એકમોએ અગાઉ APMC માટેની સહાય યોજના હેઠળ લાભ લીધો હશે, તેઓ આ પેકેજ અંતર્ગત સહાય મેળવવાને પાત્ર રહેશે નહીં.
કોને કેટલી સહાય મળશે? (સહાયના ધોરણો):
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા આ પેકેજમાં નાના વેપારીઓથી લઈને મોટા દુકાનદારો માટે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે:
લારી કે રેકડી ધારકો: 7,500 રૂપિયાની ઉચ્ચક રોકડ સહાય.
નાની સ્થાયી કેબિન (જેનો વિસ્તાર 40 ચોરસ ફૂટ સુધી હોય): 25,000 રૂપિયાની ઉચ્ચક રોકડ સહાય.
મોટી કેબિન (જેનો વિસ્તાર 40 ચોરસ ફૂટથી વધારે હોય): 50,000 રૂપિયાની ઉચ્ચક રોકડ સહાય.
પાકી દુકાન (પાકું બાંધકામ અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભર્યું હોય): 1,00,000 રૂપિયાની ઉચ્ચક રોકડ સહાય.
પાકી દુકાન (માસિક ટર્નઓવર 7.5 લાખ રૂપિયા સુધી હોય): 20 લાખ રૂપિયા સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ 5 લાખ રૂપિયાની મર્યાદામાં).
પાકી દુકાન (માસિક ટર્નઓવર 7.5 લાખથી 15 લાખ રૂપિયા સુધી હોય): 25 લાખ રૂપિયા સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ 8 લાખ રૂપિયાની મર્યાદામાં).
પાકી દુકાન (માસિક ટર્નઓવર 15 લાખ રૂપિયાથી વધુ હોય): 30 લાખ રૂપિયા સુધીની ટર્મ લોન લેનારને 3 વર્ષ સુધી 7% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ 10 લાખ રૂપિયાની મર્યાદામાં).
Frequently Asked Questions
અમદાવાદના વેપારીઓ માટે કઈ સહાય યોજના જાહેર કરવામાં આવી છે?
આ પેકેજનો લાભ કયા પ્રકારના વેપારીઓને મળશે?
અમદાવાદના અસરગ્રસ્ત નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે. આમાં લારી, રેકડી, નાની-મોટી કેબિન અને પાકી દુકાન ધરાવતા લોકોનો સમાવેશ થાય છે.
જુદા જુદા વેપારીઓ માટે કેટલી રોકડ સહાય નક્કી કરવામાં આવી છે?
લારી/રેકડી ધારકોને ₹7,500, નાની કેબિનને ₹25,000, મોટી કેબિનને ₹50,000 અને GST રિટર્ન ભરનાર પાકી દુકાનને ₹1,00,000 ની ઉચ્ચક રોકડ સહાય મળશે.
સહાય મેળવવા માટેની મુખ્ય શરતો શું છે?
વેપારીઓ રોકડ કે વ્યાજ સહાયમાંથી એક જ વિકલ્પનો લાભ લઈ શકશે. વ્યાજ સહાય માટે પેકેજના ઠરાવથી 6 મહિનામાં અરજી કરવી પડશે અને અગાઉ APMC સહાય લીધી હોય તેમને લાભ નહીં મળે.






















