Gujarat: અમદાવાદમાં કાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ અંગે વિગતવાર
ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે.

અમદાવાદ: ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ આજે અમદાવાદ આવી પહોંચશે.
કાલે સવારે અમદાવાદ આવશે રાહુલ ગાંધી
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચશે. બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
રિવરફ્રન્ટ ખાતે ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ
7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમથી થશે. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવશે, જે ભારતની વિવિધતામાં એકતાની ઝાંખી કરાવશે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 8 એપ્રિલે
8 એપ્રિલે સવારે 11:30 વાગ્યે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખ, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતા, નેતા વિપક્ષા આવશે. સાંજે 7 વાગે અધિવેશન સ્થળ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
9 એપ્રિલે અધિવેશનની બેઠક મળશે
9 એપ્રિલે સવારે 9:30 વાગ્યે અધિવેશનની બેઠક થશે. સૌપ્રથમ ફ્લેગ હોસ્ટિંગ થશે અને બાદમાં એજન્ડા પર ચર્ચા થશે. ઠરાવ પર ચર્ચા થશે. જે નેતાને વિષય પર અભિપ્રાય આપવો હોય તે ચિઠ્ઠી મોકલીને મોકલશે તો તેને તક આપવામાં આવશે.
8 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ દિવસે સાંજે 5 વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની ભાવિ રણનીતિ અને કાર્યક્રમો અંગે ચર્ચા કરશે.
આ અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, ત્યારબાદ 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે.




















