'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Anil Agarwal Son Death: 49 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, મિત્રો સાથે સ્કીઇંગ કરતા ઈજા થઈ હતી, પિતાએ 75% સંપત્તિ દાન કરવાનો સંકલ્પ લીધો.

Anil Agarwal Son Death: ભારતીય ઉદ્યોગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'મેટલ કિંગ' તરીકે પ્રખ્યાત અને વેદાંત ગ્રુપ (Vedanta Group) ના ચેરમેન અનિલ અગ્રવાલના મોટા પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અકાળે અવસાન થયું છે. માત્ર 49 વર્ષની વયે અગ્નિવેશે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ના ન્યૂયોર્ક શહેરમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ આઘાતજનક સમાચારની પુષ્ટિ સ્વયં અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર એક અત્યંત હૃદયદ્રાવક પોસ્ટ દ્વારા કરી હતી. અગ્નિવેશ માત્ર અનિલ અગ્રવાલના પુત્ર જ ન હતા પરંતુ તેઓ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc) જેવી પ્રતિષ્ઠિત કંપનીના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા અને પિતાના માર્ગદર્શનમાં ફુજેરાહ ગોલ્ડ જેવી કંપનીનું સર્જન કર્યું હતું.
આ કરુણ ઘટનાની વિગતો મુજબ, મૂળ બિહારના વતની એવા અગ્નિવેશ અગ્રવાલ પોતાના મિત્રો સાથે અમેરિકામાં વેકેશન મનાવવા ગયા હતા. ત્યાં સ્કીઇંગ (Skiing) કરતી વખતે તેમની સાથે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેમને સારવાર અર્થે ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો અને તેઓ રિકવર થઈ રહ્યા હતા, પરંતુ બુધવારે અચાનક તેમને કાર્ડિયાક એરેસ્ટ (Cardiac Arrest) અથવા હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. અનિલ અગ્રવાલે પોતાની પીડા વ્યક્ત કરતા લખ્યું હતું કે, "આજે મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ છે. એક પિતા માટે પોતાના દીકરાની અર્થીને કાંધ આપવા જેવું બીજું કોઈ મોટું દુઃખ હોઈ શકે નહીં."
Today is the darkest day of my life.
— Anil Agarwal (@AnilAgarwal_Ved) January 7, 2026
My beloved son, Agnivesh, left us far too soon. He was just 49 years old, healthy, full of life, and dreams. Following a skiing accident in the US, he was recovering well in Mount Sinai Hospital, New York. We believed the worst was behind us.… pic.twitter.com/hDQEDNI262
અગ્નિવેશના અંગત જીવન પર નજર કરીએ તો, તેમનો જન્મ 3 જૂન, 1976 ના રોજ પટનાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમણે અજમેરની સુપ્રસિદ્ધ માયો કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. બાળપણમાં અત્યંત તોફાની અને રમતિયાળ સ્વભાવના અગ્નિવેશ સમય જતાં એક ગંભીર અને સૌમ્ય વ્યક્તિત્વમાં પરિવર્તિત થયા હતા. પિતા અનિલ અગ્રવાલના જણાવ્યા મુજબ, અગ્નિવેશ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ એક સારા બોક્સિંગ ચેમ્પિયન હોવાની સાથે સાથે કુશળ ઘોડેસવાર અને સંગીતના પણ ખૂબ શોખીન હતા. ઓફિસ હોય કે મિત્રવર્તુળ, તેઓ હંમેશા લોકોથી ઘેરાયેલા રહેવાનું પસંદ કરતા હતા અને સાદગીપૂર્ણ જીવન જીવતા હતા.
દીકરાની વિદાય બાદ અનિલ અગ્રવાલે એક મોટો સંકલ્પ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અગ્નિવેશ અને તેમનું સપનું હતું કે ભારત આત્મનિર્ભર બને અને દેશમાં કોઈ ભૂખ્યું ન સૂવે. અગ્નિવેશ હંમેશા કહેતા કે 'પપ્પા, આપણા દેશમાં બધું જ છે, આપણે પાછળ કેમ રહીએ?'. આ સપનાને પૂરું કરવા માટે અનિલ અગ્રવાલે અગ્નિવેશને વચન આપ્યું હતું કે તેઓ પોતાની કમાયેલી સંપત્તિનો 75% થી વધુ હિસ્સો સમાજસેવા માટે દાન કરશે. આ દુઃખની ઘડીમાં અનિલ અગ્રવાલે તે વચનનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે હવે તેઓ બાકીનું જીવન સાદગીથી જીવશે અને દીકરાના સપના એટલે કે શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને રોજગાર માટે પોતાનું જીવન સમર્પિત કરશે.




















