અમદાવાદમાં બે IPSને કોરોના, કોણ છે આ ઉચ્ચ અધિકારી ? ક્રાઈમ બ્રાંચના PI સહિત 85 પોલીસ કોરોનાગ્રસ્ત...
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. શનિવારે એક જ દિવસમાં 1409 કેસ નોંધાયા હતા જ્યારે આ જીવલેણ વાયરસથી વધુ 14 લોકોનાં મોત થયા હતા.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Corona)ના કેસોની સંખ્યા વધી રહી છે અને રાજ્યના પોલીસ (Gujarat Police) તંત્રમાં પણ કોરોનાનો કહેર છે. રાજ્યમાં કોરોનાના કારણે આઈપીએસ અધિકારી (IPS)ના મોતની પહેલી ઘટનામાં સિનિયર આઈપીએસ અધિકારી ડો. મહેશ કે. નાયકનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું છે. બીજી તરફ રાજ્યના વધુ બે આઈપીએસ અધિકારી કોરોનાનો ભોગ બનતાં હાલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિક જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડા અને ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ એમ બે આઈપીએસ અધિકારી કોરોનાનો ભોગ બન્યા છે. આ ઉપરાંત ક્રાઈમ પીઆઈ એસ.એમ. ગામેતી સહિત 85 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત છે.
દરમિયાનમાં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી ડો. મહેશ નાયકે કોરોનાની સારવાર દરમિયાન અમદાવાદની એસવીપી (SVP) હોસ્પિટલ માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ડો. મહેશ નાયક આગામી ઓક્ટોબર મહિનામાં નિવૃત થવાના હતા. વર્ષ 2006ની બેચના આઈપીએસ અને વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યરત ડો. મહેશ કે. નાયક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. ગુજરાતના પાટણના વતની એવા ડો. મહેશ નાયકે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાએ ગુજરાતમાં આઈપીએસ અિધકારીનો ભોગ લીધાનો આ પ્રથમ કિસ્સો છે.
આઈપીએસ ડો. મહેશ નાયકે ઓગષ્ટ-2020માં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમ ડીસીપી અને સાબરમતી જેલ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યાં હતાં. અમદાવાદ શહેર પોલીસમાં કોરોનાનો કહેર યથાવત છે અને હાલમાં કુલ 85 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થવાથી સારવાર લઈ રહ્યાં છે.
ગુજરાતમાં કોરોનાને તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 5 હજારથી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા હતા. રાજ્યમાં આજે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 34,382 | 227 |





















