અમરેલી જિલ્લાના ખાંભા નજીક તુલસીશ્યામ રેન્જમાં અંદાજે 15 વર્ષના નર સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે મોત થયું છે. વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે.
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lion News: અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

- અમરેલીમાં વૃદ્ધાવસ્થાને કારણે એક સિંહનું કુદરતી મૃત્યુ થયું.
- સિહોરમાં સિંહે ભેંસનું મારણ કરતા પશુપાલકે જીવ બચાવ્યો.
- ગિરનારમાં 12 વર્ષના કિશોરને સિંહે ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો.
Lion News: અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે 15 વર્ષની ઉંમર ધરાવતા આ નર સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) ની પ્રક્રિયા માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.
સિહોર પંથકમાં સિંહનો આતંક, પશુપાલકે ઝાડ પર ચડી જીવ બચાવ્યો
બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વન્ય પ્રાણી સિંહના હુમલાની ઘટનાઓ સતત બેકાબૂ બની રહી છે. ગઈકાલે સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે ફરી એકવાર આતંક મચાવીને એક પશુપાલકના પશુનું મારણ કર્યું હતું. સીમમાં પશુ ચરાવી રહેલા રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર સિંહે અચાનક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સિંહને પોતાની તરફ ધસતો જોઈને ગભરાયેલા પશુપાલકે સમયસૂચકતા વાપરી નજીકના વૃક્ષ પર ચડી જઈને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના ત્રાસ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
થોડા દિવસ પહેલા ગિરનાર ખાતે 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો
11 જુલાઈ ખાતે જૂનાગઢના ગિરનાર પર્વત પર હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ગિરનારની યાત્રા દરમિયાન માત્ર 50 જેટલા પગથિયા ચઢ્યા બાદ 12 વર્ષના એક કિશોર પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતા એટલી હતી કે સિંહ બાળકને પરિવારના સભ્યોના હાથમાંથી જ ખેંચીને નજીકના જંગલ તરફ લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. જંગલ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં જંગલમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું મૃતક બાળક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પરિવાર સાથે ગિરનાર દર્શન માટે આવેલા બાળકનું આ રીતે કરુણ મોત થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
Frequently Asked Questions
અમરેલી જિલ્લામાં સિંહના મૃત્યુનું કારણ શું હતું?
ભાવનગરના સિહોર પંથકમાં સિંહે કોના પર હુમલો કર્યો?
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર હુમલો કરીને તેને મારી નાખી. પશુપાલકે નજીકના ઝાડ પર ચડીને પોતાનો જીવ બચાવ્યો હતો.
ગિરનાર ખાતે સિંહના હુમલામાં કયા બાળકનું મૃત્યુ થયું?
11 જુલાઈના રોજ ગિરનાર પર્વત પર 12 વર્ષના એક કિશોર પર સિંહે હુમલો કર્યો હતો અને તેને ખેંચી ગયો હતો. બાદમાં જંગલમાંથી બાળકના અવશેષો મળી આવતા તેનું કરુણ મોત થયું હતું.






















