પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ એક મજબૂત વિકલ્પ છે. તે ખેડૂતોને પણ આર્થિક રીતે મદદ કરે છે.
ખેડૂતો કમાશે બમણું! 1 ટન શેરડીમાંથી કેટલા લિટર ઇથેનોલ બને છે? જુઓ ઉત્પાદનની ત્રણેય પદ્ધતિ
Sugarcane to ethanol ratio: પેટ્રોલમાં ઇથેનોલના બ્લેન્ડિંગથી ક્રૂડની આયાત ઘટશે અને ખેડૂતોની આવક વધશે; 1 ટન શેરડીમાંથી બને છે આટલું ઇંધણ

- ઇથેનોલ પેટ્રોલમાં મિશ્રણ માટે, શેરડીમાંથી મુખ્યત્વે બને છે.
- એક ટન શેરડી ૭૦-૮૪ લિટર ઇથેનોલ સીધું આપે.
- મોલાસીસથી ૧૦-૧૧ લિટર ઇથેનોલ બને છે, ઉપજ ઓછી.
- ક્રશિંગ, આથો અને નિસ્યંદનથી શુદ્ધ ઇથેનોલ બને છે.
Sugarcane to ethanol ratio: ભારતમાં સતત વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે 'ઇથેનોલ' એક સૌથી મજબૂત વૈકલ્પિક ઇંધણ (Alternative Fuel) તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ (Blending) ઝડપથી વધારી રહી છે. આ બાયોફ્યુઅલ મુખ્યત્વે શેરડી અને તેમાંથી બનતી આડપેદાશોમાંથી તૈયાર થતું હોવાથી દેશભરના શેરડી પકવતા ખેડૂતો માટે કમાણીની નવી તકો ઊભી થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર 1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા માટે કેટલી શેરડીની જરૂર પડે છે? રિપોર્ટ્સ મુજબ, જો શેરડીના રસનો સીધો જ ઉપયોગ કરવામાં આવે તો 1 લિટર ઇથેનોલ બનાવવા માટે આશરે 12 થી 15 kg શેરડીની જરૂર પડે છે.
1 ટન શેરડીમાંથી કેટલું ઇથેનોલ બને છે?
ઇથેનોલ બનાવવાની પદ્ધતિના આધારે તેની ઉપજ નક્કી થાય છે:
સીધો રસ વાપરવાની પદ્ધતિ: જો શેરડીના રસનો સીધો જ કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો 1 ટન (1,000 kg) શેરડીમાંથી આશરે 70 થી 84 લિટર શુદ્ધ ઇથેનોલ મેળવી શકાય છે.
મોલાસીસ પદ્ધતિ: જ્યારે શેરડીમાંથી પહેલા ખાંડ બનાવી લેવામાં આવે અને ત્યારબાદ બચેલા કાળા ચીકણા પ્રવાહી એટલે કે 'સી-હેવી મોલાસીસ' (C-Heavy Molasses) માંથી ઇથેનોલ બનાવવામાં આવે, ત્યારે તેની ઉપજ ઘણી ઘટી જાય છે. આ પદ્ધતિમાં 1 ટન શેરડીમાંથી માંડ 10 થી 11 લિટર ઇથેનોલ જ બને છે.
ઇથેનોલ ઉત્પાદનની 3 મુખ્ય પદ્ધતિઓ
સુગર મિલો સરકારી નીતિ અને બજારની માંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ રીતે ઇથેનોલ બનાવે છે:
શેરડીના રસમાંથી ખાંડ બનાવ્યા વિના તેને સીધો જ ઇથેનોલ બનાવવામાં વાપરવો, જેમાં સૌથી વધુ ઉત્પાદન મળે છે.
રસમાંથી થોડી ખાંડ અલગ કર્યા પછી બચેલી ઘટ્ટ ચાસણી (Syrup) માંથી ઇથેનોલ બનાવવું.
ખાંડ બનાવવાની પ્રક્રિયાના અંતે વેસ્ટ તરીકે બચતા મોલાસીસનો ઉપયોગ કરવો.
આ પણ વાંચોઃ શું ભારતમાં 100% ઇથેનોલથી વાહનો દોડશે? નીતિન ગડકરીનો 22 લાખ કરોડ બચાવવાનો માસ્ટર પ્લાન
મિલથી લઈને ઇથેનોલ બનવા સુધીની આખી પ્રક્રિયા
ક્રશિંગ અને એક્સ્ટ્રેક્શન: સૌથી પહેલા ખેતરમાંથી કાપેલી શેરડી સુગર મિલમાં પહોંચે છે, જ્યાં તેને મોટા ક્રશરમાં નાખીને તેનો રસ નીચોવી લેવામાં આવે છે.
ફર્મેન્ટેશન (આથો લાવવાની પ્રક્રિયા): આ રસ અથવા મોલાસીસને મોટી આથો ટાંકીઓ (Fermentation Tanks) માં ભરવામાં આવે છે. આ મિશ્રણમાં ખાસ પ્રકારના યીસ્ટ (Yeasts) ઉમેરવામાં આવે છે, જે શેરડીમાં રહેલી કુદરતી શર્કરાને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં બદલી નાખે છે. આ પ્રોસેસથી જે પ્રવાહી તૈયાર થાય છે તેને 'વોશ' કહે છે, જેમાં 8% થી 10% આલ્કોહોલ હોય છે.
ડિસ્ટિલેશન (નિસ્યંદન): આ પ્રવાહીને ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ગરમ કરવામાં આવે છે. પાણી કરતાં આલ્કોહોલ વહેલો વરાળ બની જતો હોવાથી તેની વરાળને અલગ એકઠી કરીને ઠંડી પાડવામાં આવે છે, જેનાથી પ્રવાહી સ્વરૂપે 95% શુદ્ધ ઇથેનોલ મળી જાય છે.
ગાડીઓમાં વપરાતું ફ્યુઅલ-ગ્રેડ ઇથેનોલ કેવી રીતે બને છે?
પેટ્રોલમાં મિક્સ કરવા માટે ઇથેનોલની શુદ્ધતા 99.8% થી વધુ હોવી અનિવાર્ય છે. આ ધોરણ પ્રાપ્ત કરવા માટે 'મોલેક્યુલર ચાળણી' (Molecular Sieves) જેવી આધુનિક ડિહાઇડ્રેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આલ્કોહોલમાં રહેલો ભેજ કે પાણીનો છેલ્લો કણ પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલું સો ટકા શુદ્ધ ઇથેનોલ ગાડીઓમાં ઈંધણ તરીકે વાપરવા માટે એકદમ યોગ્ય ગણાય છે.
Frequently Asked Questions
શા માટે ઇથેનોલ વૈકલ્પિક ઇંધણ તરીકે મહત્વનું છે?
1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા કેટલી શેરડીની જરૂર પડે છે?
જો શેરડીના રસનો સીધો જ ઉપયોગ કરવામાં આવે તો, 1 લિટર શુદ્ધ ઇથેનોલ બનાવવા આશરે 12 થી 15 કિલોગ્રામ શેરડીની જરૂર પડે છે.
1 ટન શેરડીમાંથી કેટલું ઇથેનોલ બને છે?
સીધા રસ વાપરવાની પદ્ધતિથી 1 ટન શેરડીમાંથી 70 થી 84 લિટર ઇથેનોલ મળે છે. મોલાસીસ પદ્ધતિથી માત્ર 10 થી 11 લિટર જ બને છે.
ઇથેનોલ ઉત્પાદનની મુખ્ય પદ્ધતિઓ કઈ છે?
શેરડીના રસનો સીધો ઉપયોગ, રસમાંથી થોડી ખાંડ બનાવ્યા પછી બચેલી ચાસણીનો ઉપયોગ, અને ખાંડ બનાવ્યા પછીના મોલાસીસનો ઉપયોગ એ મુખ્ય પદ્ધતિઓ છે.





















