Flight Ticket Price Cap: હવાઈ મુસાફરોને મોટી રાહત! સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડા નક્કી કર્યા, હવે કંપનીઓની મનમાની નહીં ચાલે
ઈન્ડિગો સંકટ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય: 500 કિમી સુધીના અંતર માટે મહત્તમ ભાડું ₹7,500, જાણો અન્ય સ્લેબ.

Flight Ticket Price Cap: હવાઈ મુસાફરી કરતા નાગરિકો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લીધો છે. તાજેતરમાં સર્જાયેલા એરલાઈન સંકટ (ખાસ કરીને ઈન્ડિગો સંબંધિત) અને તહેવારો કે ઈમરજન્સીના સમયે ટિકિટના ભાવમાં થતા તોતિંગ વધારાને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. સરકારે ખાનગી એરલાઈન કંપનીઓની લૂંટ અને મનમાની પર રોક લગાવતા ડોમેસ્ટિક (ઘરેલુ) ઉડાન માટે ભાડાની મહત્તમ મર્યાદા (Price Cap) નક્કી કરી દીધી છે. હવે કંપનીઓ મુસાફરો પાસેથી મનફાવે તેટલા રૂપિયા વસૂલી શકશે નહીં.
ખાનગી કંપનીઓની મનમાની પર બ્રેક
છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ કેન્સલેશન અને મોંઘા ભાડાને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ઘણીવાર ડિમાન્ડ વધતા એરલાઈન્સ કંપનીઓ ટિકિટના ભાવ ત્રણથી ચાર ગણા વધારી દેતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મંત્રાલયે કિલોમીટરના અંતર મુજબ ભાડાના સ્લેબ જાહેર કર્યા છે. આ નિર્ણયથી સામાન્ય મધ્યમ વર્ગના મુસાફરોને સૌથી મોટો ફાયદો થશે.
જાણો કયા અંતર માટે કેટલું ભાડું ચૂકવવું પડશે?
સરકારે અંતર (Distance) ના આધારે ભાડાની મહત્તમ સીમા (Maximum Cap) નક્કી કરી છે, જે નીચે મુજબ છે:
500 કિમી સુધીનું અંતર: ટૂંકા અંતરની મુસાફરી એટલે કે 500 કિલોમીટરથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એરલાઈન કંપનીઓ મુસાફરો પાસેથી વધુમાં વધુ ₹7,500 સુધીનું જ ભાડું વસૂલી શકશે.
500 થી 1,000 કિમી સુધી: મધ્યમ અંતરની ઉડાન માટે, એટલે કે 500 થી 1,000 કિલોમીટર વચ્ચેના પ્રવાસ માટે મહત્તમ ભાડાની મર્યાદા ₹12,000 નક્કી કરવામાં આવી છે.
1,000 થી 1,500 કિમી સુધી: જો તમારી મુસાફરી 1,000 થી 1,500 કિલોમીટરની રેન્જમાં આવતી હોય, તો એરલાઈન કંપની આ ટિકિટ માટે ₹15,000 થી વધારે રકમ ચાર્જ કરી શકશે નહીં.
1,500 કિમીથી વધુ અંતર: દેશના એક છેડેથી બીજા છેડે જતી લાંબા અંતરની ફ્લાઈટ્સ (જેનું અંતર 1,500 કિમીથી વધુ હોય) માટે મહત્તમ ભાડું ₹18,000 રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ નિર્ણયના અમલ સાથે, હવે તહેવારોની સિઝનમાં કે છેલ્લી ઘડીના બુકિંગમાં ટિકિટના ભાવ ₹20,000 કે ₹25,000 સુધી પહોંચી જતા હતા, તેના પર હવે અંકુશ આવશે.
અમદાવાદ એરપોર્ટ પર હોબાળો: સરકારના આદેશ બાદ ઈન્ડિગોએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યું
કેન્દ્ર સરકારના તાજેતરના નિર્દેશો બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીઓ હરકતમાં આવી છે. સરકારની સૂચનાના પગલે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે અલગથી 'હેલ્પ ડેસ્ક' અને 'રિફંડ ડેસ્ક' શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ વ્યવસ્થા મુસાફરોનો રોષ શાંત કરવામાં હાલ પૂરતી નિષ્ફળ જતી જણાઈ રહી છે.
કાઉન્ટર પાસે જ નવી વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં વિલંબ અને રદ થવાના બનાવોને કારણે મુસાફરોની પૂછપરછ (ઈન્કવાયરી)માં જબરદસ્ત વધારો થયો છે. મુસાફરોને પડેલી હાલાકીને ધ્યાનમાં રાખીને અને ભીડને નિયંત્રિત કરવાના હેતુથી, ઈન્ડિગો દ્વારા ચેક-ઈન કાઉન્ટરની તદ્દન નજીક જ આ નવું હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે.
મુસાફરો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ નવી વ્યવસ્થા ઉભી કર્યા બાદ પણ પરિસ્થિતિ વણસેલી જોવા મળી હતી. હેલ્પ ડેસ્ક પર હાજર ઈન્ડિગોના કર્મચારીઓ દ્વારા મુસાફરોને સંતોષકારક જવાબો ન મળતા મામલો બિચક્યો હતો. અનેક મુસાફરોએ પોતાની રદ થયેલી અથવા મોડી પડેલી ફ્લાઈટના વિકલ્પરૂપે અન્ય ફ્લાઈટમાં બુકિંગની માંગણી કરી હતી. જોકે, એરલાઈન્સ સ્ટાફ દ્વારા યોગ્ય પ્રત્યુતર કે વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપતા મુસાફરો આક્રોશિત થયા હતા અને હેલ્પ ડેસ્ક પર જ કર્મચારીઓનો ઉધડો લીધો હતો.





















