હવે છૂટા પૈસાનું ટેન્શન ખત્મ! ATMમાંથી ઉપાડી શકશો 10, 20 અને 50 રૂપિયાની નોટ
UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવા છતાં હાલમાં પણ અગાઉની જેમ છૂટા પૈસાની સમસ્યા યથાવત છે

UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવા છતાં હાલમાં પણ અગાઉની જેમ છૂટા પૈસાની સમસ્યા યથાવત છે. આ સમસ્યાને ઉકેલવા માટે ભારત સરકાર નાની ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવાની તૈયારી કરી રહી છે. ઘણીવાર જ્યારે આપણે ચા પીવા બહાર જઈએ છીએ, ઓટો કે બસ ભાડું ચૂકવીએ છીએ, અથવા સ્થાનિક બજારમાં ખરીદી કરીએ છીએ ત્યારે આપણે છૂટા પૈસા ન હોવાના કારણે હતાશ થઈએ છીએ. જો કે, સરકારનો નવો પ્લાન ઘણી સમસ્યાઓ દૂર કરશે. તમે ATM માંથી નાની ચલણી નોટો પણ ઉપાડી શકશો.
નાની ચલણી નોટો સરળતાથી ઉપલબ્ધ થશે
સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે લોકો દૈનિક રોકડ વ્યવહારો પર નિર્ભર રહે છે અને તેમને 10, 20 અને 50 રૂપિયાની નોટોની જરૂર હોય છે તેમને નાની ચલણી નોટો સરળતાથી મળી રહે. સરકારે આ હેતુ માટે પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. આવો જ એક પાયલોટ પ્રોજેક્ટ મુંબઈમાં હાથ ધરવામાં આવી રહ્યો છે, જ્યાં નાની ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નવા ATM મશીનો ક્યાં સ્થાપિત કરવામાં આવશે?
સરકાર આ નવા ATM મશીનો એવા સ્થળોએ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે જ્યાં લોકોને સૌથી વધુ રોકડની જરૂર હોય છે, જેમ કે હોસ્પિટલો, બસ ડેપો, રેલવે સ્ટેશન, સ્થાનિક બજારો, સરકારી હોસ્પિટલો અને ઓફિસો. આ નવા ATM મશીનોમાંથી 100 અને 500ની નોટો તેમજ નાની 10, 20 અને 50ની નોટો પણ ઉપાડી શકાશે.
મોટી નોટોને નાની નોટોમાં બદલવાની સુવિધા
સરકાર તરફથી એવી પણ યોજના બનાવવામાં આવી રહી છે એવા મશીનો પણ લગાવવામાં આવે જેમાં લોકો સરળતાથી તેમની મોટી ચલણી નોટને નાની ચલણી નોટોમાં બદલી શકે. UPIના વધતા જતા આ યુગમાં પણ નાના દુકાનદારો, મુસાફરો, શેરી વિક્રેતાઓ અને દૈનિક વેતન મજૂરો સહિત ઘણા લોકો હજુ પણ દૈનિક ટ્રાન્જેક્શન માટે રોકડનો ઉપયોગ કરે છે. હાલમાં નાની ચલણી નોટો માટેના ATM મશીનોનું મુંબઈમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો સફળ અને મંજૂર થશે તો તે દેશભરમાં લાગુ કરવામાં આવશે.























